હિંમતનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 50થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે આગામી 7 મેના રોજ થનાર મતદાન પૂર્વે વડાપ્રધાન, મુખ્યમંત્રી તથા કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોનો વાયુવેગે ચૂટણી પ્રચાર કરવા માટે સભા અને રેલી યોજી રહ્યા છે. ત્યારે હિંમતનગર માર્કેટયાર્ડ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું.જેમાં 50થી વધુ કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
હિંમતનગર માર્કેટયાર્ડમાં શુક્રવારે સાંજે યોજાયેલા ખેડૂત સંમેલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાતના વિકાસ માટે તે વખતની સરકારો જે બજેટ ફાળવતી હતી તેના લીધે ગુજરાતનો વિકાસ ઓછો થતો હતો. પરંતુ 2014થી ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વિકસીત ભારતનું સ્વપ્ન જોઈને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં ઉપરાંત અંતરીયાળ વિસ્તારમાં રહેતા નાના માણસોને ધ્યાનમાં રાખીને અસંખ્ય યોજનાઓ બનાવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, આયુષ્માન ભારત, જલ સે નલ, રોડ-રસ્તાઓનું વિસ્તૃતિકરણ, ઉચ્ચ અભ્યાસ માટે મેડીકલ સહિતની અન્ય સુવિધાઓ અગાઉના સમય કરતાં વધારી છે. સાથો સાથ ભાર પુર્વક મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે વડાપ્રધાનના વડપણ હેઠળની ભાજપની સરકારે ગુજરાત માટે અંદાજે રૂ.3.25 લાખ કરોડનું બજેટ ફાળવીને ગુજરાતને વિકાસનું એન્જીન બનાવ્યું છે. તો ખેડૂતને લગતી યોજનાઓ વિશેની પણ જાણકારી આપી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું સાફો પહેરાવી અને વિવિધ મોમેન્ટો આપીને સંગઠન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં હિંમતનગર તાલુકાના 50થી વધુ કાર્યકરોએ મુખ્યમંત્રીના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો અને ભાજપમાં પ્રવેશ કર્યો હતો.