મુંબઈની હોસ્પિટલમાં ફોનની ટોર્ચ લાઇટ કરીને કરવામાં આવી ડિલિવરી, માતા અને બાળકનું મોત
- અંધારામાં ડીલીવરી કરાવવાનો પરિવારનો આરોપ
- સુષ્મા સ્વરાજ મેટરનિટી હોસ્પિટલમાં બની ઘટના
- માતા અને બાળકનું મોત
મુંબઈમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં હોસ્પિટલની બેદરકારીને કારણે ડિલિવરી દરમિયાન માતા અને બાળકના જીવ ગયા છે. આ ઘટના મુંબઈની પ્રખ્યાત સુષ્મા સ્વરાજ મેટરનિટી હોસ્પિટલમાં બની હતી. મૃતક મહિલાના પરિવારજનોનું માનવું છે કે સોમવારે જ્યારે તેઓ મહિલાને ડિલિવરી માટે હોસ્પિટલમાં લાવ્યા ત્યારે હોસ્પિટલની લાઇટ જતી રહી હતી. આગામી ત્રણ કલાક સુધી જનરેટરની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. મોબાઈલની ટોર્ચ પ્રગટાવીને મહિલાને ડિલિવરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે મહિલા અને બાળક બંનેના મોત થયા હતા. મહિલાનું નામ સાહિદુન (26) અને તેના પતિનું નામ ખુસરુદ્દીન અંસારી છે. ખુસરુદ્દીન અંસારીએ જણાવ્યું કે તેની પત્ની સાહિદુન અને બાળકના મૃત્યુ બાદ ડોક્ટરોએ અંધારામાં બીજી ડિલિવરી કરાવી હતી. પરિવારના સભ્યોની ફરિયાદ બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ હોસ્પિટલ સામે તપાસના આદેશ આપ્યા છે.