તહેવારની સિઝનમાં 392 વિશેષ ટ્રેન દોડાવાશે,અમદાવાદ સહિત ગુજરાતમાંથી 20થી વધુ ટ્રેન પસાર થશે
રેલવેએ દુર્ગાપૂજા, દશેરા, દિવાળી અને છઠ જેવા તહેવારની સિઝનમાં પ્રવાસીઓ માટે 392 જેટલી વધારાની વિશેષ ટ્રેન દોડાવશે. આ ટ્રેન 20 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી જ દોડશે. રેલવે મંત્રાલયે વિવિધ વિસ્તારની માંગના આધારે 196 જોડી ટ્રેન દોડાવાને મંજૂરી આપી છે. કેટલીક ટ્રેનો દૈનિક હશે તો કેટલીક સપ્તાહમાં 1 કે 4 વાર દોડાવાશે.
આ તમામ ટ્રેન સુપર ફાસ્ટ હશે. તેની સ્પીડ ઓછામાં ઓછી પ્રતિ કલાક 55 કિમી હશે. તેનું ભાડું મેલ એક્સપ્રેસ ટ્રેન કરતા 10થી 30 ટકા વધુ રહેશે. એટલે કે અન્ય સ્પેશિયલ ટ્રેન જેટલું ભાડુંં રહેશે. રેલવેએ ઝોનલ રેલવેને નિર્દેશ આપ્યો છે કે આ ટ્રેનમાં થર્ડ એસી કોચની સંખ્યા વધુમાં વધુ રાખવામાં આવે જેથી વધુ પ્રવાસીઓને સામેલ કરી શકાય.
અનલૉકની પ્રક્રિયા શરૂ થયા પછી 12 મેથી અત્યાર સુધીમાં દેશભરમાં 666 જેટલી મેલ એક્સપ્રેસ વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. તેમાં 15 જોડી રાજધાની વિશેષ ટ્રેન, 100 જોડી લાંબા અંતરની અને 80 વધારાની ટ્રેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉપનગરીય સેવા એટલે કે મુંબઈમાં પણ લોકલ ટ્રેન ચાલી રહી છે. કોલકોતામાં મેટ્રો ટ્રેન દોડી રહી છે. હાલમાં જ રેલવે બોર્ડના ચેરમેન વિનોદકુમાર યાદવે કહ્યું હતું કે રેલવેએ ઓક્ટોબર મહિનાના મધ્ય ભાગથી નવેમ્બર સુધી તહેવારની સિઝનમાં 200થી વધુ ટ્રેન દોડાવવાની યોજના તૈયાર કરી છે. જો જરૂર પડશે તો તેની સંખ્યા વધારાશે.