![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/01-4.jpg)
અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીની મંગળા આરતીનો લાભ લીધો
શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે. તો મા અંબાના દર્શનાર્થે દૂર દૂરથી માઇભક્તો પગપાળા સંઘો પણ લઈને આવતા હોય છે. દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ધામે પહોંચી માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે. હાલમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં માઇભકતો માતાજીની ઉપાસના અને આરાધના કરવા અંબાજી પહોંચ્યા હતા.ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. તો સાથે સાથે માતાજીના ચાચર ચોકમાં ભક્તોનો જમાવડો પણ જોવા મળ્યો હતો. માતાજીના મંદિરના ચાચરચોક પાસે આવેલા યજ્ઞશાળામાં ભક્તો દ્વારા હવન, યજ્ઞ કરવામાં આવી રહ્યા છે.
આજે ચૈત્રી નવરાત્રીની પૂનમ નિમિત્તે મા જગતજનની અંબાના મંદિરમાં માતાજીની આરતી વહેલી સવારે કરવામાં આવી હતી. ચૈત્રી નવરાત્રીને લઈને મોટી સંખ્યામાં માઇભકતો વહેલી સવારથી જ માતાજીના દર્શન કરવા માટે લાઈનોમાં લાગ્યા હતા. વેહલી સવારે મંદિરના મુખ્ય પૂજારી ભટજી મહારાજ દ્વારા માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો પણ જોડાયા હતા. માતાજીની મંગળા આરતીનો લાભ લઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષ સાથે માઇભક્તો મા ના મંદિરે પહોંચ્યા હતા. માતાજીના જયકારોથી માં અંબાનું મંદિર ગુંજી ઉઠ્યું હતુ. આજે ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ છવાયો હતો.