![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/ગુજરાતમાં-કોંગ્રેસ-01.jpg)
ગુજરાતમાં કોંગ્રેસ હવે 23 બેઠક ઉપર જ ચૂંટણી લડી શકશે, ભાજપને મળશે સીધો ફાયદો
સુરતમાં લાંબા રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા હવે ગુજરાતમાં કોંગ્રેસ 23 બેઠક ઉપર ચૂંટણી લડશે. સુરત લોકસભા બેઠક બિનહરીફ થાય એવી પ્રબળ શક્યતાઓ છે.
સુરત બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ્દ થયું હતું. ભાજપની ફરિયાદ બાદ શરૂ થયેલી રાજકીય હૂંસ તૂંસીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. નિલેશ કુંભાણીનાં ફોર્મમાં ટેકેદારો બોગસ હોવાની ફરિયાદ બાદ 24 કલાક રાજકીય ડ્રામા ચાલ્યો હતો. આરોપ પ્રતિઆરોપ વચ્ચે કોંગ્રેસ ઉમેદવારનાં ટેકેદારો ગાયબ થયા હતા. 24 કલાક ચાલેલા રાજકીય ડ્રામા બાદ ટેકેદારો હાજર ન થતા કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું.
18 એપ્રિલે નિલેશ કુંભાણીએ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. શનિવારે ઉમેદવારી પત્રોની ચકાસણી થઈ હતી. ભાજપનાં ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો લીધો હતો. ભાજપનાં ચૂંટણી એજન્ટનાં વાંધા સામે ચૂંટણી અધિકારીએ સુનાવણી કરી હતી. કલેક્ટરની સામે નિલેશ કુંભાણીનાં ટેકેદારોએ સોગંદનામું પણ કર્યું હતું. નિલેશ કુંભાણીએ ટેકેદારોને હાજર કરવા સમય માંગ્યો હતો. આજે સવારથી નિલેશ કુંભાણીનાં ટેકેદરોનો સંપર્ક કરવાનો પ્રયાસ થતો હતો. નિલેશ કુંભાણીનાં ટેકેદારો નિયત સમય મર્યાદામાં હાજર ન થયા.
કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થતા હવે સુરત બેઠક પર ભાજપ સહિત 8 ઉમેદવારો છે. સુરત બેઠક પર 1 BSP, 3 અપક્ષ અને 3 સ્થાનીય પાર્ટીઓનાં ઉમેદવારોનાં ફોર્મ જમા થયા છે. ભાજપ સિવાયનાં અન્ય ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેચે તેવો સૂત્રનો દાવો કર્યો છે. અન્ય 7 ઉમેદવારો ફોર્મ પરત ખેચે તો સુરત બેઠક બિનહરિફ બનશે.