![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/navratri-61-1.jpg)
નવરાત્રી ન થવાની હોવાથી પાર્ટી પ્લોટ, સાઉન્ડ-લાઇટ, કેટરિંગ, સિક્યોરિટીના ધંધાને રૂ. 50 કરોડનું નુકસાન
કોરોનાને કારણે રાજ્ય સરકારે ગરબા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે નવરાત્રી સાથે સંકળાયેલા વેપારને 9 દિવસમાં અંદાજે 40થી 50 કરોડનું નુકસાન અને 20 હજારથી વધુ લોકોની રોજગારી જવાનો અંદાજ વેપારીઓએ વ્યક્ત કર્યો છે. ગરબાનું બુકિંગ નહીં થવાને કારણે સૌથી વધુ નુકસાન પાર્ટી પ્લોટના માલિકોને 30થી 40 કરોડનું થવાનો અંદાજ છે. શહેરમાં નાના-મોટા મળી 300થી વધુ પાર્ટી પ્લોટ છે.
નવરાત્રી દરમિયાન 60થી 70 જેટલા પાર્ટી પ્લોટમાં ગરબાનાં આયોજન દર વર્ષે થાય છે. પ્રત્યેક પાર્ટી પ્લોટનું ભાડું નવરાત્રી દરમિયાન ડેકોરેશન સાથે અંદાજે 15થી 40 લાખ સુધીનું હોય છે. ગરબાનાં સ્થળોએ ફૂડ કોર્ટ પણ રાખવામાં આવે છે, જેથી કેટરિંગના ધંધાને 5 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. સાઉન્ડ એન્ડ લાઇટિંગના ધંધાને પણ 4થી 5 કરોડનું નુકસાન થશે, જ્યારે સિક્યોરિટી અને ઓર્કેસ્ટ્રાને પણ 2થી 2.50 કરોડનું નુકસાનનો અંદાજ વ્યક્ત કર્યો છે.
કોરોનાને લીધે કેટરિંગનો ધંધો ઠપ થયો છે ત્યારે પડતાં પર પાટું પડ્યું હોય તેમ ગરબા નહીં થવાને કારણે નવરાત્રીના 9 દિવસ દરમિયાન કેટરિંગના વ્યવસાયને 4થી 5 કરોડનું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી છે કેટરિંગ બંધ રહેવાથી લેબર, રસોઇયા તથા અન્ય છૂટક કામ કરનારા અંદાજે 5 હજાર લોકોની રોજગારી છીનવાઈ છે.