અંબાજી મંદિરમાં માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો ભક્તોની ભારી ભીડ જોવા મળી
ચૈત્રી નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં માતાજીની આરાધના અને ઉપાસના કરવા માટે ભક્તો અલગ અલગ મંદિરોમાં જઈ માતાજીનો આશીર્વાદ મેળવી રહ્યા છે. ગુજરાતનું પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે દેશભરથી માઇભક્તો ચૈત્રી નવરાત્રિમાં મા અંબાના ધામે પહોંચી માતાજીની આરાધના કરી માના ચરણોમાં શીશ નમાવી રહ્યા છે. આજે ચૈત્રી નવરાત્રીનો પાંચમો દિવસ છે. ત્યારે આજે યાત્રાધામ અંબાજી ખાતે ભક્તોને ભારી ભીડ જોવા મળી હતી.
આજે અંબાજી મંદિરમાં પાંચમાં નોરતે માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. 56 ભોગનો આ અન્નકૂટ અખંડ ધૂન મંડળ દ્વારા ધરાવવામાં આવ્યો હતો. અલગ અલગ પ્રકારની મીઠાઈઓથી માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો હતો. અખંડ ધૂન મંડળ દ્વારા અંબાજી મંદિરમાં સતત 24 કલાક અખંડ ધૂન પણ કરવામાં આવી રહી છે. આજે બપોરે માતાજીને અન્નકૂટ ધરાવ્યા બાદ અંબાજી મંદિરના ભટજી મહારાજ દ્વારા માતાજીની અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. આ અન્નકૂટ આરતીમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો પણ જોડાયા હતા. ચૈત્રી નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરના ચારે બાજુ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. માઇભક્તોએ મા અંબાની અન્નકૂટ આરતીનો લાભ લીધો હતો. જય જય અંબેના નાદ સાથે અંબાજી મંદિર ગુજી ઉઠ્યું હતું.