![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/ડીસાના-મુડેઠા-ગામે-ક્ષત્રિય-02-hed.jpg)
ડીસાના મુડેઠા ગામે ક્ષત્રિય સમાજના 500 યુવાનો અને આગેવાનોની બેઠક યોજાઈ : રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરાઈ
ભાજપના પ્રચારકોને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ: ડીસા તાલુકામાં પરસોત્તમ રૂપાલાની વિવાદીત ટિપ્પણીને લઈ એક પછી એક ગામડાઓમાં વિરોધ શરૂ થઈ રહ્યો છે. જેમાં ગત રાત્રે ડીસા તાલુકાના મુડેઠા ગામમાં પણ 500થી વધુ યુવાનો અને આગેવાનોએ શ્રી નકળંગ ભગવાનના મંદિરે ભેગા થઈ જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી ભાજપના પ્રચારકો માટે ગામમાં પ્રવેશબંધી કરી છે.
ગુજરાતમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે વિરોધનો સુર હવે બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામે પણ પહોંચ્યો છે. રાત્રે મુડેઠા ગામમાં નકળંગ ભગવાનના મંદિરે 500થી પણ વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજની બહેન-દિકરીઓ વિશે પરસોત્તમ રૂપાલાએ કરેલી ખરાબ ટિપ્પણીને લઈને વિરોધ દર્શાવ્યો હતો. તેમજ જ્યાં સુધી ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ નહીં કરવાના બેનર લગાવ્યા હતા.
આ બેઠક અંગે મુડેઠા ગામના યુવાનોએ જણાવ્યું હતું કે, જો ભાજપ પક્ષ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ભાજપે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે અને જ્યાં સુધી ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ મુડેઠા ગામમાં પ્રવેશ કરવો નહીં.