![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/15-1.jpg)
ઉચ્ચતર માધ્યમિક સુધીનું ફ્રી શિક્ષણનો લાભ ન લેનાર બાળકોનો સર્વે હાથ ધરાયો
પાટણ જિલ્લામાં ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ ન કરનાર શાળા બહારના 6થી 19 વર્ષની વયજૂથના બાળકોની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર શિક્ષા પાટણ અંતર્ગત રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009ની જોગવાઈ મુજબ 6થી 19 વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. જેથી જુદા જુદા કારણોસર શાળા બહાર રહેલા 6થી 19 વર્ષની વયજૂથના બાળકો કે જેઓ પોતાનું ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સંપર્ક કરી શિક્ષણ પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પાટણ જિલ્લા સહિત છેવાડાના વિસ્તારોમાં બાળક અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધું હોય તેવા બાળકો પુનઃ શાળામાં પ્રવેશ કરે તે જરૂરી છે. આવા બાળકોની સર્વે અંગેની કામગીરી તા. 1 એપ્રિલથી તા. 17મે દરમિયાન કરવાનું જણાવવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લામાં સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આસપાસ કે જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, ફેક્ટરી વિસ્તાર, વર્ક સાઈટ વગેરે જગ્યાએ સર્વે કરવામાં આવશે. જેમાં મળી આવેલા શાળા બહારના બાળકોને નજીકની સરકારી પ્રાથમિક શાળા, સી.આર.સી.ભવન, બી.આર.સી.ભવન કે સમગ્ર શિક્ષા પાટણ જીલ્લા કચેરીના જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.