પ્રાંતિજમાં પ્રાંત અધિકારીને ચાર સંગઠનોએ આવેદનપત્ર આપી રાજકોટમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ભાખરિયા ખાતે એકઠા થયેલા ક્ષત્રિય સમાજના યુવાન આગેવાનો સુત્રોચ્ચાર કરીને રેલી સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચ્યા હતા. જ્યાં ચાર સંગઠનો દ્વારા આવેદનપત્ર આપી રાજકોટમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરી હતી.
લોકસભા 2024 ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે ઉમેદવારો દ્વારા પોતાના મત ક્ષેત્રમાં મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ત્યારે રાજકોટ બેઠક પરના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
પ્રાંતિજમાં ભાખરિયા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા હતા. ત્યાર બાદ સુત્રોચ્ચાર કરીને રેલી સ્વરૂપે તાલુકા સેવા સદન ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલવાની માગ કરવામાં આવી હતી અને જો આગામી સમયમાં ઉમેદવાર બદલવામાં નહીં આવે તો મતદાનથી અળગા રહી ઉગ્ર આંદોલન કરવાની પણ ક્ષત્રિય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પ્રાંતિજ તાલુકા સહિત ચાર વિવિધ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં પ્રાંતિજ ક્ષત્રિય ઠાકોર સમિતિ, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, પ્રાંતિજ તાલુકાના મેટર કિંગ બન્ના ગ્રુપ ગુજરાત, ગુજરાત રાજ્ય ક્ષત્રિય સમાજ આમ ચાર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.