વ્યાજખોરના ત્રાસથી વાસણામાં રહેલા વ્યક્તિએ કર્યો આપઘાત, 5 શખ્સો વિરુદ્ધ ફરિયાદ
વ્યાજખોરના ત્રાસથી કંટાળી અમદાવાદના વાસણાના વિનોદ ઠક્કર નામના વેપારીએ આપઘાત કર્યો છે. તેમણે લખેલી સ્યુસાઇડ નોટમાં 5 લોકોના નામનો ઉલ્લેખ કરાયો છે. વાસણા પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 3 આરોપીને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડયા હતા. દર્શક ઠક્કર, અનિલ ગુપ્તા, ઉમેશ ચૌહાણની ધરપકડ કરી લેવાઇ છે. તાજેતરમાં રાજ્ય સરકારે વ્યાજખોરોને ડામવા ઝુંબેશ હાથ ધરી હતી પરંતુ તેઓ ફરી સક્રીય થયા છે.
વાસણામાં રહેતા ફ્લોર ફેકટરીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જોકે આત્મહત્યા કરતા પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટમાં 5 લોકો ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિનોદ ઠક્કર નામના વેપારીની આત્મહત્યા મામલે વાસણા પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ આત્મહત્યા દુષપ્રેરણનો ગુનો દાખલ કર્યો છે અને ગુનામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. વાસણા પોલીસે દર્શક ઠક્કર, અનિલ ગુપ્તા અને ઉમેશ ચૌહાણની ધરપકડ પણ કરી છે. આ આરોપીઓએ ભેગા મળીને એક વેપારીને વ્યાજ ચક્રમાં એવો ફસાવ્યો કે તેણે પોતાના જ જીવનનો અંત લાવી દીધો.