![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/પાંચ-જેટલાં-જુદા-જુદા-03-hed.jpg)
ઊંઝા પંથકમાં નકલી જીરું વરિયાળી બનાવતી ફેક્ટરીઓ પર ગાંધીનગર અને મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો
પાંચ જેટલાં જુદા જુદા સ્થળોએ દરોડા પાડતાં ભેળસેળિયાઓમાં ફફડાટ
પાવડર, ગોળની રસી, લીલો કલર સહિત અંદાજીત રૂપિયા બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ઊંઝા શહેર સહિત સમગ્ર પંથકમાં આવેલ વિવિધ ફેક્ટરીમાં ગુરુવારે મહેસાણા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ ગાંધીનગર ફૂડ વિભાગની સયુંકત ટીમે દરોડાઓ પાડી મોટી માત્રામાં નકલી જીરું વરિયાળીનો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો છે જેને લઇ ભેળસેળયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ વિભાગની ટીમે જીરું વરિયાળીનો લુઝ જથ્થો, પાવડર ગોળની રસી સહિતનો મસમોટો ઝડપાયો છે.
વિગતો અનુસાર ઊંઝા શહેરમાં હાઇવે પર આવેલ શનિદેવ મંદિરની બાજુમાં તેમજ સિદ્ધિ વિનાયક એસ્ટેટ ઐઠોર સહિતના કેટલાંક સ્થળોએ નક્લી જીરુંનો કારોબાર ચાલે છે તેવી બાતમીના આધારે ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે ગુરુવારે વિવિદ્ય સ્થળોએ દરોડા પાડી તપાસ હાથ ધરી હતી જેમાં ચાર જેટલાં ફેક્ટરીમાંથી નકલી જીરું અને વરીયાળી બનાવમાં આવતાં હોવાનુ બહાર આવ્યું છે. જે પૈકી પટેલ રાકેશકુમાર તળશીભાઈની ફેકટરી શિવગંગા એસ્ટેટ શનિદેવ મંદિરની બાજુમાં ઉનાવા તેમજ પટેલ હર્ષદભાઈ ખોડીદાસનું ગોડાઉન શિવ ગંગા એસ્ટેટ ઉનાવા તેમજ પટેલ પ્રકાશભાઈ શિવરામભાઇનું ગોડાઉન સિદ્ધિ વિનાયક એસ્ટેટ ઐઠોર તેમજ પટેલ પ્રકાશભાઈ શિવરામભાઈનું બીજું ગોડાઉન ઐઠોરમાંથી નકલી જીરુંનો કારોબાર મળી આવ્યો હતો. જેમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાવડર , ગોળની રસી, લુઝ વરીયાળી જીરું લીલો કલર સહિત અંદાજીત રૂપિયા બે લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જેને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગાંધી નગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને મહેસાણાની ટીમના અધિકારીઓ માંડી સાંજ સુધી આ કામમાં લાગ્યા હતા. ઊંઝા મામલતદાર પણ ધટના સ્થળે પહોંચ્યા હતા.
ઊંઝા પંથકમાં કોણ જાણે કેમ છેલ્લાં ઘણા સમયથી નકલી જીરું અને વરીયાળી બનાવવાની પ્રવુતિ એ જોર પકડયું છે.નકલી કારોબાર પકડાય એટ્લે બધુ થોડા સમય માટે બંધ બાદ આજ પ્રવુતિ પુન બેરોકટોક ચાલે છે. અત્રે ઉલ્લેખનીય છેકે બે દિવસ અગાઉ ઊંઝાના દાસજ રોડ પરથી ભેળસેળમાં વપરાતો કલરનો જથ્થો રોડ પર જોવા મળ્યો હતો.