ભિલોડા તાલુકામાં એક આધેડનું સ્વાઈન ફલૂના કારણે મોત નીપજ્યું
H-1N-1 દ્વારા ઝડપી ફેલાતા ચેપી રોગ સ્વાઇન ફલૂના કેસ ગુજરાતમાં વધતા ગયા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ સ્વાઇન ફલૂના રોગે માથું ઊંચક્યું છે. ભિલોડા તાલુકામાં એક આધેડનું સ્વાઈન ફલૂના કારણે મોત નીપજ્યું છે.
ભિલોડાના રીંટોડા ગામના એક આધેડ રાજસ્થાન ગયા હતા અને ત્યાંથી આવ્યા બાદ એકાએક બીમાર પડ્યા હતા. તેઓએ સ્થાનિક ડોક્ટર પાસેથી સારવાર લીધા બાદ ડોકટર સલાહ મુજબ ટેસ્ટ કરાવતા સ્વાઇન ફલૂ પોઝિટિવ આવ્યો હતો. જેથી આ આધેડને સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા. જ્યાં 13 દિવસની સારવાર બાદ આધેડનું મોત નીપજ્યું છે. આધેડનું મોત થતાં પરિવારજનોમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
સ્વાઈન ફલૂ ઝડપથી ફેલાતો ચેપી રોગ છે. દર્દીને શરદી ખાંસી તાવ છીંક આવવી, ગળામાં દુખાવો થવો વગેરે લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવી તરત જ સારવાર લેવી જોઈએ. એમ આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્ર પણ આ બાબતે સતર્ક બન્યું છે અને રીંટોડા ગામમાં આરોગ્યની ટીમ દ્વારા સર્વે કરી પ્રાથમિક સારવાર અપાઈ રહી છે.