રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કર્યાં
લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યું છે તેવામાં ગુજરાત કોંગ્રેસની વધુ એક વિકેટ ખરી પડી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કર્યાં છે. આથી બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાનો કોંગ્રેસ છોડતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી શકે છે. ડી.ડી રાજપૂત 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા. તેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હાલમાં કાર્યરત છે. ત્યારે લોકસભાની ચૂંટણી ટાણે જ ડી.ડી રાજપૂતે કોંગ્રેસ છોડતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને મોટો ઝટકો લાગ્યો છે.
સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી અને નિર્ણય લઈશ: ડી.ડી રાજપૂત લોકસભાની ચૂંટણી સમયે જ કોંગ્રેસના આગેવાને રાજીનામું ધરી દેતાં બનાસકાંઠા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ-થરાદ તાલુકાના કોંગ્રેસના અગ્રણી ડી.ડી રાજપૂતે પોતાના ફાર્મહાઉસ ઉપર બેઠક બોલાવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને કાર્યકર પદેથી રાજીનામું આપી દીધું છે. દેશમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકારતા તેમની લાગણી દુભાઈ હોવાનું જણાવી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર પદેથી રાજીનામું આપ્યું હોવાનું ડી.ડી રાજપૂતે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, આવનાર સમયમાં સમાજના આગેવાનો અને યુવાનો સાથે ચર્ચા કરી અને નિર્ણય લઈશ.
31 માર્ચે કેસરીયો ધારણ કરે તેવી શક્યતા: થરાદમાં કોંગ્રેસ પાર્ટી તરફથી 2017માં વિધાનસભાની ચૂંટણી લડેલા આગેવાને પાર્ટીમાંથી રાજીનામું આપતાં બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની મુશકેલીમાં વધારો થયો છે. સુત્રોના જણાવ્યા મુજબ આગામી 31 માર્ચના રોજ સી.આર પાટીલના હસ્તે ડી.ડી રાજપૂત કેસરીયો ખેસ ધારણ કરશે.
ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં મોટું ભંગાણ: બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. થરાદ-વાવ રાજપૂત સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસના કાર્યકર પદેથી રાજીનામું આપી દીધું છે. ડી.ડી રાજપૂતે પોતાના ફોર્મહાઉસ ખાતે બેઠક બોલાવી કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.