![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/kharoi.png)
ખારોઈ પાસે ગમખ્વાર અકસ્માત, લક્ઝરી અને કાર વચ્ચે ટક્કર સર્જાતા ઘટનાસ્થળે એકનું મોત
રાજયમાં અકસ્માતના બનાવો ચિંતાજનક વધારો થયો છે ત્યારે ફરી એક ઘટના ખારોઈ નજીક બની છે. અહીં એક કેનાલ આગળ ખાનગી લકઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં કારમાં સવાર હસમુખ નાગજી જાદવને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું, જ્યારે બસમાં સવાર પંદરેક મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ખારોઈ રોડ કેનાલ આગળ આજે બપોરે આ ગમખ્વાર અને જીવલેણ બનાવ બન્યો હતો. ભુજ તાલુકાના ભારાસરમાં રહેનાર મૂળ ધ્રાંગ્રધાના હસમુખખ જાદવ કામ અર્થે રાપર બાજુ ગયા હતા ત્યાંથી પરત આવતી વેળાએ તેમને અકસ્માત નડયો હતો.તેમની સફેદ રંગની કાર નંબર જી. જે. 12-એફ.ડી.-5609ને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારનો બુકડો બોલી ગયો હતો, જ્યારે ખાનગી લકઝરી બસ પલટી ગઈ હતી.
આ અકસ્માતમાં માથાંમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતાં હસમુખ જાદવનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે બસમાં સવાર રૂડીબેન વિભા કોળી, હરદેવ નરશી કોળી, મંજુલા નરશી કોળી, સોમીબેન નરશી કોળી, દશરાજ જગતસિંહ, કુંવરબેન દશરા કોળીને ઈજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યારે અન્યોને ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આજે બપોરના બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભુજથી ભચાઉ પટ્ટામાં દોડતી ખાનગી લકઝરી બસો વચ્ચે એસ.ટી.ના ઓછા થયેલા રૂટ વધારવા આ વેળાએ માંગ ઊઠી હતી તથા મુસાફરોની સુરક્ષાનો મુદ્દો પણ સપાટી ઉપર આવ્યો હતો.