![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/005.jpg)
હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારો શુભેચ્છાઓ આપી
સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય ડૉ.તુષાર ચૌધરીની પસંદગી ઉતારી છે. ત્યારે આજે હિંમતનગરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવાર ડૉ.તુષાર ચૌધરી આવી પહોંચતા જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારોએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ડૉ.તુષાર ચૌધરીએ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ અંગેની વિગત એવી છે કે, 05-સાબરકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા બેઠકના ધારાસભ્ય ડૉ.તુષાર ચૌધરીને લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા છે. ગઈકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠક પર ડૉ.તુષાર ચૌધરીના નામની જાહેરાત થયા બાદ શુક્રવારે બપોરે હિંમતનગરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ડૉ.તુષાર ચૌધરી આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઢોલ નગારા અને ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જિલ્લા પ્રમુખ અશોક પટેલ સહિત હોદ્દેદારોએ ફૂલહાર પહેરાવીને ડૉ.તુષાર ચૌધરીને અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી હતી.
આ અંગે 05 સાબરકાંઠા લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર ડૉ.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકમાં વિજય થયા બાદ કોંગ્રેસ પક્ષે મારા પર પસંદગી ઉતારી છે ત્યારે મને જીતનો વિશ્વાસ છે. પહેલા આપ પાર્ટી અલગ હતી હાલમાં I.N.D.I.A.માં જોડાણ થયા બાદ મતોનું વિભાગીકરણ નહિ થાય અને તે મતો કોંગ્રેસને મળશે જેને લઈને કોંગ્રેસની જીત થશે. સાબરકાંઠામાં દુષ્કાળ દરમિયાન મારા પિતાએ સારા પ્રજાકીય કામો કર્યા હતા. જેનો લાંભ અમારા પરિવારને મળે. નવા ઉમેદવારને દિલ્હીમાં પાચ વર્ષ વિભાગોને સમજતા લાગે છે અને ક્યાં આવેલા છે એની જાણકારી મેળવવી પડે. ત્યારે હું તો બે વખત દિલ્હીમાં UPA સરકારમાં મંત્રી તરીકે રહી ચુક્યો છુ જેથી કોંગ્રેસ દ્વારા રેડીમેડ સાંસદ મુક્યો છે. જેથી મારી જીત થયા બાદ બીજા દિવસથી સાબરકાંઠાની પ્રજાના અધૂરા કામોને પ્રાધાન્ય આપીશ. જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ સહિત હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. સાબરકાંઠા લોકસભામાં ચૂંટણીના પ્રચાર ડૉ.તુષાર ચૌધરી હોળી બાદ શરૂ કરશે.