કેજરીવાલ માટે મોડી રાત્રે સુપ્રિમ કોર્ટે ન ખોલ્યા દરવાજા, હવે શું કરશે AAP?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં ગુરુવારે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આજે કેજરીવાલને ED દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જેના માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટમાંથી ધરપકડથી કોઈ રક્ષણ ન મળતાં ED મોડી રાત્રે તેમના ઘરે પહોંચી હતી. આ પછી કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો પરંતુ ત્યાં પણ તેમને કોઈ રાહત ન મળી.
કોઈ બેંચની રચના કરી નથી
ED દ્વારા કેજરીવાલની ધરપકડની શક્યતાને જોતા તેમની ટીમે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજીની સુનાવણી માટે ગુરુવારે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટની કોઈ વિશેષ બેંચની રચના કરવામાં આવી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલની અરજી પર શુક્રવારે સુનાવણી થવાની શક્યતા છે.
અરજી SCની કાર્યવાહીની યાદીમાં દેખાતી નથી
દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેજરીવાલને ઈડીની ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. PTI અનુસાર કલાકો પછી, EDની ધરપકડ સામે કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી શુક્રવારની કાર્યવાહીની ટોચની અદાલતની યાદીમાં દેખાઈ ન હતી. ED દ્વારા કેજરીવાલની ધરપકડ બાદ, આમ આદમી પાર્ટીએ ગુરુવારે મોડી સાંજે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.