આધેડને નર્મદાની મુખ્ય નહેરમાંથી જીવના જોખમે ઉપસ્થિત સામાજીક યુવકોએ બચાવી લીધા
જીવના જોખમે આધેડને બચાવ્યા થરાદ નહેરમાં આપઘાત કરવા પડેલા આધેડને સામાજિક યુવાનોએ બચાવી લીધા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા થરાદની નર્મદા નહેરમાં મોતને વ્હાલું કરવા બુધવારે કુદેલા એક આધેડને નર્મદાની મુખ્ય નહેરમાંથી જીવના જોખમે ત્યાં ઉપસ્થિત સામાજીક યુવકોએ બચાવી લીધા હતા. જે બાદ 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ સરહદી વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન છે. ત્યારે લોકો મોતને વ્હાલું કરવા કેનાલમાં ઝંપલાવી દેતાં હોય છે. આવી જ એક ઘટના બુધવારે બની હતી. જ્યાં થરાદ-વાવ હાઈવે પર નર્મદાની મુખ્ય કેનાલમાં એક આધેડે મોતની છલાંગ લગાવી દીધી હતી. જો કે આ વખતે કેનાલ પર અવર-જવર કરતા લોકો તેમને જોઈ જતાં તેમને બચાવવા જાણ કરી હતી.
આ વખતે ત્યાં રહેલા સામાજિક યુવાનોએ દોરડાની મદદથી કેનાલમાં જીવના જોખમે કુદીને આધેડને બચાવી લીધા હતા. મોતની છલાંગ લગાવનાર વાસુદેવભાઈ પુરારામ ત્રિવેદી (રહે.લવારા,તા. ધાનેરા) હોવાનું જાણવા મળ્યું હતું. કેનાલમાંથી બહાર કાઢીને તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આધેડનો જીવ બચાવવાની યુવાનોએ સરાહનીય કામગીરી કરી હતી.