![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/બનાસકાંઠા-સાંસદ-પરબત-હેડ.jpg)
ઔદ્યોગિક તાલીમ સંસ્થા (I.T.I) મલુપુર, થરાદ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો
બનાસકાંઠા સાંસદ પરબત પટેલના અધ્યક્ષસ્થાને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (I.T.I) મલુપુર, થરાદ ખાતે આજરોજ રોજગાર ભરતી મેળો યોજાયો હતો. જેમાં સાંસદ પરબત પટેલના વરદ હસ્તે નોકરી મેળવનાર તાલીમાર્થીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને જિલ્લા રોજગાર કચેરી, પાલનપુરના ઉપક્રમે મલુપુર થરાદ ખાતે યોજાયેલ રોજગાર ભરતીમેળામાં 18 જેટલી નોકરીદાતા કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા રોજગાર વાંચ્છું ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. જેમાં વિવિધ ટ્રેડના 550 કરતાં વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. ઇન્ટરવ્યૂના અંતે પસંદગી પામનાર તાલીમાર્થીઓને નિમણૂક પત્ર, તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાના લાભાર્થીઓને પસંદગીપત્ર અને PM વિશ્વકર્મા યોજનાના તાલીમાર્થીઓને તાલીમપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પરબત પટેલે યુવાનોને નોકરીની શુભકામનાઓ પાઠવતાં કહ્યું કે, જીવનમાં ક્યારેય નાસીપાસ ન થતા. લઘુતાગ્રંથીથી પીડાતા નહિ અને જેમાં રસ રુચિ હોય એ ધંધો, નોકરી અપનાવજો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લામાં ખેતી, રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ એમ તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે. જિલ્લામાં પાંચ વર્ષના સમયગાળામાં 194 રોજગાર મેળાઓ દ્વારા 25,523ને રોજગારી મળી છે. આપણો જિલ્લો કૃષિ અને પશુપાલન આધારિત છે ત્યારે યુવાનોને ફક્ત નોકરી આધારિત ન રહેતાં સાંસદે ખેતીમાં ઉદ્યોગ સાહસિકતાના સમન્વય થકી પ્રગતિ કરવા અને આગળ વધવા શુભેચ્છાઓ આપી હતી.