નવ માસ અગાઉ 30 વર્ષીય નરાધમે સગીરા પર દુષ્કર્મ ગુજારેલા કેસમાં આરોપીને 20 વર્ષની કડક સજા ફટકારી
વાસનામાં અંધ બનેલા નરાધમો સગીર બાળકીઓને વધારે ભોગ બનાવે છે આવી ઘણી ઘટનાઓ સાંભળવા મળી છે. ત્યારે આવા કૃત્ય કરનારને પણ કોર્ટ દ્વારા સમાજમાં ઉત્તમ ઉદાહરણ બેસે એવી સજા કરાતી હોય છે. આવી જ એક દુષ્કર્મ અને પોક્સોના આરોપીને કડક સજા કરતી ઘટના ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામે આવી છે.
આજથી નવ માસ પહેલા ધનસુરાના એક ગામે એક નવ વર્ષની ખેત મજૂરની દીકરી પોતાના ઘર આગળ ઉભી હતી. તેના મા-બાપ ખેતરમાં ખેતમજૂરીના કામે ગયા હતા. એવામાં ગામનો જ રાજુ વાઘેલા નામનો એક નરાધમ ત્યાંથી પસાર થતો હતો. તેની નજર આ નિર્દોષ સગીરા પર પડી હતી. આ 30 વર્ષીય 3 સંતાનોના પિતાએ બાળકીને મોબાઈલ બતાવવા અને કેરી આપવાની લાલચ આપીને રૂમમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે ધનસુરા પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જે બાબતે જિલ્લા સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે નરાધમ આરોપીને એક સમાજમાં ઉત્તમ ઉદાહરણ બેસે એ રીતે 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી.