![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/orig_garba_1602025342.jpg)
ગરબા કઈ રીતે રમાડવા તે નક્કી કરવામાં સરકાર જ ‘ગરબે’ ઘુમે છે
કેન્દ્ર સરકારે નવરાત્રિમાં 200 વ્યક્તિઓ ગરબા રમી શકે તેવી માર્ગદર્શિકા બહાર પાડી છે ત્યારે રાજ્ય સરકાર પણ આ અંગેની ગાઇડલાઇન્સ નક્કી કરવા વિચારણા કરી રહી છે. બુધવારે મળે લીકેબિનેટની બેઠકમાં અનેક મંત્રીઓ દ્વારા આ અંગે સૂચનો આપવામાં આવ્યાં હતાં.
જોકે ગરબાને મંજૂરી આપે તો સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે જાળવી શકાય તેમજ એક તબક્કે સોશિયલ ડિસ્ટન્સ સાથે ગરબાને મંજૂરી આપવામાં આવી શકે પરંતુ રાસ રમતી વખતે તેના સ્ટેપ અનુસાર સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ શકે નહીં. તેમજ દાંડિયાથી પણ એકબીજાને અડવાની સંભાવના રહે છે જેને કારણે પણ ચેપ લાગી શકે છે. જેના પરિણામે ગાઇડલાઇન્સ કેવી અને કયા કયા નિયમો નક્કી કરવા તે અંગે સરકાર પણ મૂંઝવણમાં મુકાઈ છે.
બીજી તરફ 200 વ્યક્તિઓને મંજૂરી આપી હોવાને પગલે મોટા મોટા પાર્ટિપ્લોટ કે ક્લબમાં ગરબાના આયોજન થઈ શકે તેમ નથી પરંતુ મોટાભાગની સોસાયટીઓ ગરબા યોજવાની વિચારણા કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ હજુ પણ સોસાયટીના ચેરમેને સેક્રેટરીઓ સરકારની ગાઇડલાઇન્સની રાહ જોઈ રહ્યા છે. જે સોસાયટીઓમાં 500થી વધુ ફ્લેટ છે ત્યાં પણ ગરબા કરવા કે નહીં તે માટે સોસાયટીઓના સભ્યોમાં પણ ભિન્ન મત જોવા મળી રહ્યા છે. જોકે સરકાર આગામી 3થી 4 દિવસમાં ચોક્કસ ગાઇડલાઇન્સ બહાર પાડે તેવી શક્યતા અધિકારી સૂત્રોમાંથી જાણવા મળી છે.
સરકાર ગાઇડ લાઇન જાહેર કરે તો પણ ગાઇડ લાઇનનું પાલન કરાવવા ગામડે ગામડે પોલીસ મૂકી શકાય તેટલો ફોર્સ જ સરકાર પાસે નથી. આવા સંજોગોમાં શહેરી વિસ્તારોમાં ચુસ્ત પાલન થશે,પણ ગામડાઓમાં નવરાત્રીનો ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાશે તેવું સત્તાવાર સુત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.