![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/orig_train_1602024016.jpg)
દિવાળીમાં રેલવે ગુુજરાતમાંથી પસાર થતી વધુ 36 ટ્રેન શરૂ કરશે, દક્ષિણ ભારત માટે પહેલીવાર વિશેષ ટ્રેન
કોરોના મહામારી શરૂ થયા બાદ દેશમાં માર્ચથી રેગ્યુલર ટ્રેનોનું સંચાલન બંધ છે. જો કે જૂનથી અનલૉક જાહેર થયા બાદ રેલવે દ્વારા કેટલાક વિશેષ રૂટ પર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ સમય દરમિયાન મોટી સંખ્યામાં શ્રમિકો પરત આવતા રિટર્ન ટ્રેનો હાઉસફૂલ આવતી હતી. જો કે હવે દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાંથી પસાર થતી લગભગ તમામ ટ્રેનો હાઉસફૂલ થઈ ગઈ છે.
ત્યારે પશ્ચિમ રેલવે અમદાવાદ સહિત ગુજરાતમાંથી પસાર થતી વધુ 36 ટ્રેનો શરૂ કરવાની રેલવે બોર્ડને ભલામણ કરી છે. જેમાં અમદાવાદથી ઉપડતી તેમજ પસાર થતી 18 ટ્રેનો ઉપરાંત વડોદરા સુરતથી પસાર થતી 18 ટ્રેનો સામેલ છે. ઓક્ટોબરના અંત કે નવેમ્બરના પ્રારંભમાં આ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાશે. તેમાં પણ અમદાવાદ સહિત રાજ્યમાંથી દક્ષિણ ભારત માટે પણ વિશેષ ટ્રેન શરૂ કરવાની ભલામણ કરાઈ છે. સૌરાષ્ટ્ર માટે પણ પહેલીવાર ટ્રેન શરૂ થશે. આ ટ્રેનો શરૂ થતા લોકોને સુવિધા મળવાની સાથે સાંસદો ધારાસભ્યો, ઝેડઆરયુસીસી સભ્યોની માગણી પણ પૂર્ણ થશે.