અંબાજી : મેન્ટનેન્સ કામગીરીને લઈને 6 દિવસ માટે રોપ-વેની સુવિધા બંધ રહેશે
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું જગત વિખ્યાત મા જગતજનની અંબાનું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. મા અંબાના ધામમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવી માતાજીનો આશીર્વાદ મેળવતા હોય છે. મા અંબાના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત પર મા જગતજનની અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા જતા હોય છે. ગબ્બર પર્વત પર માતાજીના દર્શન કરવા માટે ભક્તો પગથિયા ચઢીને અને રોપ-વેની સેવાનો લાભ લઇ ગબ્બર પર્વતની ટોચ પર આવેલા માતાજીના દર્શન કરવા પહોંચે છે. ત્યારે આવનાર દિવસોમાં ગબ્બર પર્વત પર રોપ-વેની સેવા 6 દિવસ સુધી બંધ રહેશે.
આવનાર તારીખ 11/3/2024થી લઈને તારીખ 16/3/2024 સુધી ગબ્બર પર્વત પર રોપ-વેની સુવિધા બંધ રહેશે. 6 દિવસ સુધી સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવે છે. વર્ષ દરમિયાન રોપ-વેની મેન્ટેનન્સ કામગીરીને લઈને રોપ-વેની સર્વિસ બંધ કરવામાં આવતી હોય છે. મોટી સંખ્યામાં યાત્રિકો રોપ-વેની સેવાનો લાભ લેતા હોય છે. જેના કારણે રોપ-વેનો ઘસારો જોવા મળતો હોય છે. જેના કારણે યાત્રીકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી તારીખ 11/3 થી 16/3 સુધી 6 દિવસ માટે રોપ-વેની સર્વિસ કામગીરી કરવામાં આવશે. જેથી આ દરમિયાન 6 દિવસ માટે રોપ-વેની સુવિધા બંધ રાખવામાં આવશે. રોપ-વેની મેન્ટેનન્સ કામગીરી પરિપૂર્ણ થયા બાદ તારીખ 17/3/2024થી રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવામાં આવશે. વાર્ષિક સાર સંભાળ માટે રોપ-વેની સુવિધા આવનાર 6 દિવસો માટે બંધ રહેશે. તે દરમિયાન માઇભક્તો ગબ્બર પર્વતના ટોચ પર માતાજીના દર્શન કરવા માટે પગથિયા ચઢીને જઈ શકે છે.
Tags Ambaji Banaskantha Deesa Dhanera diyodar