સિદ્ધપુરમાં પહેલી વાર અરડેશ્વર મહાદેવની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી
શોભાયાત્રાનું ઠેર ઠેર ફુલોથી સ્વાગત કરાયું: સિધ્ધપુર અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. પાંચ દિવસીય ધાર્મિક મહોત્સવમાં સિધ્ધપુર અરવડેશ્વર મહાદેવ ગુરૂદેવ આશ્રમમાં વિશ્વ કલ્યાણાર્થે ૧૧ કુંડી અતિ મહા રૂદ્રશાંતિ યાગ તથા પાઠાત્મક શતચંડી યજ્ઞ યોજાઈ રહ્યો છે. મહોત્સવના બીજા દિવસે સિદ્ધપુરમાં પહેલી વાર અરડેશ્વર મહાદેવની શોભાયાત્રા નીકળી હતી.
આજરોજ સવારે ૯:૦૦ કલાકે શોભાયાત્રા અંબાવાડીથી નીકળી નગરયાત્રા કરી સિધ્ધેશ્વર મહાદેવ બાવાજીની વાડી મુકામે પૂર્ણ થઈ હતી. સવારે આંબાવાડીથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભવ્ય શોભાયાત્રામાં બગીઓ, ટ્રેકટરો સહિત વિશાળ સંખ્યામાં મહિલાઓની જવેરા સાથેની લાંબી કતારો જોવા મળી હતી. ડીજેના તાલે શિવભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ટ્રેકટરોમાં સ્કૂલના બાળકો વિવિધ વેશભૂષા સાથે જોવા મળ્યા હતા. રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન, શીવ સહિત વિવિધ વેશભૂષા ધારણ કરી શોભાયાત્રાની શોભા વધારી હતી. આ શોભાયાત્રા આંબાવાડીથી નીકળી પથ્થરપોળ, અલવાનો ચકલો, મંડી બજાર, ધર્મ ચકલો થઈને બાવાજીની વાડીએ પહોંચી હતી. શોભાયાત્રાનું ઠેર ઠેર ફુલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.