![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/6-10-2020-Shree-Parbatbhai-Patel-Tawonholl-E-Lokarpan-Palanpur-1-scaled.jpg)
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં પાલનપુર શહેરને મળી નવા ટાઉનહોલની ભેટ : મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ કર્યુ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત રૂ. ૬.૭૪ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ ટાઉન હોલની પાલનપુર શહેરને ભેટ મળી છે. પાલનપુર જહાંનઆરા બાગ પાસે નિર્મિત આ ટાઉનહોલનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ૫૬૦ બેઠકની ક્ષમતાવાળા આ ટાઉનહોલમાં અંત્યત આધુનિક સગવડો જેવી કે સેન્ટ્રલ એ.સી., ડોલ બી સાઉન્ડ, ફાયર એલાર્મ સિસ્ટમ, ઇકો એકોસ્ટીક પેનલ, વુડન સ્ટેજ, ઇલેક્ટ્રીક સિસ્ટમથી સજ્જ છે. જેનાથી પાલનપુર શહેરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એક સુંદર પ્લેસટફોર્મ ઉભું થયું છે.
ટાઉન હોલના લોકાર્પણ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે પ્રાસંગીક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, આજે પાલનપુર શહેરને એક નવું નજરાણું મળ્યું છે. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રાને આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સરકાર સફળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. તેમણે કહ્યું કે આ સરકારની વિકાસ નીતિઓને કારણે શહેરોમાં બ્રિજ, ઓવરબ્રિજ, સુંદર રસ્તાઓ, ગટરો અને બગીચાઓ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. તેમણે જણાવ્યું કે પારદર્શક વહીવટ અને ડીબીટીના લીધે વચેટીયા પ્રથા નાબૂદ થઇ છે જેના કારણે વિકાસના ફળ સીધા લોકો સુધી પહોંચી રહ્યાં છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં માસ્ક, સેનિટાઇઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે જીવવાની આદત પાડવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઇ ચૌધરી, નગરપાલિકાના પ્રમુખ અશોકભાઇ ઠાકોર, ઉપપ્રમુખ હેતલબેન રાવલ, માર્કેટયાર્ડના ચેરમેન ફતાભાઇ ધારીયા, અગ્રણીઓ સર્વ અમૃતભાઇ દવે, દિનેશભાઇ પટેલ, હરેશભાઇ જાની, હિતેષભાઇ ચૌધરી, રાણાભાઇ દેસાઇ, લાલજીભાઇ પ્રજાપતિ, ગિરીશભાઇ જગાણીયા, હસમુખભાઇ પઢીયાર, નિલમબેન જાની, ચિમનલાલ સોલંકી, અતુલભાઇ ચોક્સી, દશરથસિંહ સોલંકી, પ્રાદેશિક કમિશનર યાદવ, ચીફ ઓફિસર સતિષ પટેલ સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં