ખેતરમાં કાપણી કરેલ રાયડા પર જો વરસાદ આવી પડે તો ખેડૂતોને ભારે નુકસાન આવે તેમ છે
હવામાન વિભાગે આગામી બે દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરહદી ધાનેરા તાલુકાના ખેડૂતોએ પોતાના ખેતરમાં રાયડાના પાકની કાપણી કરી નાખી છે અને આવા સમયે જો કમોસમી વરસાદ આવી પડે તો ખેડૂતોને આર્થિક નુકસાન આવી પડે તેમ છે.
ધાનેરા તાલુકામાં કુદરતી આપત્તિ અને સિંચાઇના પાણીની વિકટ સમસ્યા વચ્ચે ખેડૂતો પીડાઈ રહ્યા છે. ચાલુ વર્ષ દરમિયાન રાયડાના પાકમાં જીવાત પડવાના કારણે નુકસાન તો હતું. જો કે 1 અને 2 માર્ચના રોજ કમોસમી વરસાદ આવે તેવી આગાહી કરતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. રાયડાના પાકને ભેગો કરવા માટે ખેડૂતો કામે લાગ્યા છે. જે રાયડાનો પાક કાપણી કર્યા બાદ ખેતરમાં મૂકી રાખ્યો છે એ રાયડાનો પાક ભેગો કરી ઉપર પ્લાસ્ટિક સાથે રક્ષણ આપી રહ્યા છે. જ્યારે ખેતરમાં કાપણી કરેલ રાયડા પર જો વરસાદ આવી પડે તો ખેડૂતોને ભારે નુકસાન આવે તેમ છે. આ અંગે ખેડૂત જણાવી રહ્યા છે કે ચાલુ વર્ષ ખેડૂતો માટે મુશ્કેલી લાવ્યું છે. બિપરજોય વાવાઝોડા અને રાયડાના પાકમાં પડેલ જીવાતના કારણે ખેડૂતોને ભારે નુકસાન છે.