![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/બનાસકાંઠા-લોકસભા-સીટ-012-હેડ.jpg)
બનાસકાંઠા લોકસભા સીટ માટે ભાજપનું મનોમંથન પ્રદેશ ભાજપના 3 નિરીક્ષકોએ હાથ ધરી સેન્સ પ્રક્રિયા
આગામી લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજયભરમાં આજથી લોકસભાની 26 બેઠક પર ભાજપે ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રીયાના શ્રી ગણેશ કર્યા હતા. આજે જિલ્લા મથક પાલનપુરમાં આવેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આગામી 2024 ની લોકસભા બેઠક માટે ઉમેદવાર ની સેન્સ પ્રક્રિયામાં ભાજપ પ્રદેશ માંથી ત્રણ નિરીક્ષકો હાજર રહી આગામી લોકસભા ની બેઠક પર ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે સંગઠનના 75 જેટલા અપેક્ષિત હોદ્દેદારોના સેન્સ લીધા હતા.
જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા, પ્રદેશ મંત્રી કૈલાશબેન પરમાર તેમજ પ્રદેશ અગ્રણી પિયુષ પટેલ પ્રદેશ ભાજપમાંથી નિરીક્ષકો તરીકે હાજર રહ્યા હતા. બનાસકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર ની સેન્સ પ્રક્રિયામાં સાંસદ પરબત ભાઇ પટેલ, પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ઉપપ્રમુખ મગનલાલ માળી, ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત હોદ્દેદારો મોટી સંખ્યા હાજર રહ્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાએ જણાવ્યું હતું કે, ભાજપની પરંપરા મુજબ ચૂંટણી પહેલા પ્રદેશ નિરીક્ષકો દ્વારા ઉમેદવારો માટે સેન્સ લેવામાં આવે છે. ત્યાર બાદ કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ લોકસભાના ઉમેદવાર પર નિર્ણય લે છે. વધુ માં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અબકી બાર 400 કે પાર સંકલ્પ ને દેશની પ્રજા મોદી સરકાર પર વિશ્વાસ મુકશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.