9 રેલવે સ્ટેશનના પુન:વિકાસ માટે ખાતમુહૂર્ત કરાશે અંદાજે રૂ.100 કરોડથી વધુનો ખર્ચ
મહેસાણા જૂના રેલવે સ્ટેશનની સાથે ઊંઝા, સિદ્ધપુર અને ભીલડીના રેલવે સ્ટેશનોનો પણ પુન: વિકાસ હાથ ધરાશે. 26મીએ વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત બાદ નિર્માણકાર્યની શરૂઆત કરાશે. આ ત્રણેય શહેરોના રેલવે સ્ટેશનના વિકાસ માટે અંદાજે રૂ.100 કરોડથી વધુનો ખર્ચ થઇ શકે છે. નવા રેલવે સ્ટેશનમાં 10થી વધુ પ્રાથમિક સુવિધાઓ ઉભી કરાશે.
26 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં અમદાવાદ મંડલના કુલ 9 રેલવે સ્ટેશનના પુન:વિકાસ માટે ખાતમુહૂર્ત કરાશે. અમૃત ભારત સ્કીમ હેઠળ રેલવે સ્ટેશનોના વિકાસ પાછળ રૂ.233 કરોડથી વધુનો ખર્ચનો અંદાજ છે.
જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને ભીલડી રેલવે સ્ટેશનનો સમાવેશ કરાયો છે. આ ચારેય રેલવે સ્ટેશનોને રૂ.100 કરોડથી વધુના ખર્ચે વિકસાવામાં આવશે. આ ચારેય શહેરોમાં વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ ઓફિસ, પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્ફોર્સ, એસી વેઇટિંગ રૂમ, પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસપ્લે બોર્ડ, એનાઉન્સમેન્ટ સિસ્ટમ, વાઇ-ફાઇ, સીસીટીવી કેમેરા સહિતની 10થી વધુ સુવિધાઓ ઉભી કરાશે.