અરવલ્લી જિલ્લામાં હૃદયરોગના કારણે મોત જિલ્લાવાસીઓમાં ચિંતાના વાદળ ઘેરાયા
આજકાલ હૃદય પર થતાં હુમલા એ ખૂબ ચિંતા ઉપજાવે એવું છે. સમગ્ર રાજ્યમાં અસંખ્ય લોકો હૃદયરોગના કારણે મોતને ભેટ્યા છે ત્યારે, અરવલ્લી જિલ્લામાં મોત નોંધાતા જિલ્લાવાસીઓમાં ચિંતા.
અરવલ્લી જિલ્લાના માલપુરના ઉભરાણ ગામે એક 36 વર્ષીય યુવાન વેપારીનું હાર્ટએટેકના લીધે મૃત્યુ થયાને 24 કલાક થયા નથી, ત્યાં આજે જિલ્લાના મેઘરજ તાલુકામાં પણ હૃદયના હુમલાથી મોત થયાની ઘટના સામે આવી છે વાત છે, મેઘરજ તાલુકાના મોટી પાંડુલી ગામની. મોટી પાંડુલીના 65 વર્ષીય ખેડૂત નગીન ખરાડી પોતાના ખેતરમાં પાણી વાળી રહ્યા હતા તે સમયે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાની ફરિયાદ કરી અને જોરથી ચીસ પાડી હતી.
જેથી બાજુમાં કામ કરતા અન્ય એક ખેડૂત દોડી આવ્યા હતા. ત્યારે જોયું તો નગીનભાઈ ખેતરમાં ઢળી પડ્યા હતા. સમગ્ર ઘટનાને લઈ ખેડૂતના પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો નગીનભાઈને સારવાર અર્થે ઇસરી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ખેડૂત નગીન ખરાડીને મૃત જાહેર કર્યા હતા. આમ અરવલ્લી જિલ્લામાં હૃદયરોગના કારણે બીજું મોત નોંધાતા જિલ્લાવાસીઓમાં ચિંતાના વાદળ ઘેરાયા છે.