વ્યક્તિએ અગમ્ય કારણોસર સિધ્ધી સરોવરમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું
પાટણ શહેરનું સિધ્ધી સરોવર સુસાઈડ પોઈન્ટ બની રહ્યું હોય તેમ અવાર નવાર જીંદગીથી નાસીપાસ થયેલા લોકો મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે બુધવારના રોજ પણ એક વ્યક્તિએ અગમ્ય કારણોસર સિધ્ધી સરોવરમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેરના સિધ્ધી સરોવરમાં કોઈ વ્યક્તિએ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હોવાની જાણ પાલિકાના ફાયર વિભાગને થતાં ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સિધ્ધી સરોવર ખાતે દોડી આવ્યાં હતા. સરોવરમાં મોતની છલાગ લગાવનાર શખ્સની શોધખોળ હાથ ધરી લાશને બહાર કાઢવામાં આવી હતી. આ બનાવની જાણ પોલીસ ને કરાતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
આ અંગે તેજસ બારોટે જણાવ્યું હતું કે, પાટણ શહેરનું સિદ્ધી સરોવર અવાર નવાર બનતા આત્મહત્યાનાં બનાવોને રોકવા પાલિકાની સામાન્ય સભામાં અનેક વખત આ વિસ્તારના નગરસેવકો દ્વારા સરોવર ફરતે ફેનસિંગ તાર વડે સુરક્ષા વધારવાની સાથે સરોવર ઉપર જરૂરી ચોકિયાતને ફરજ સોંપવામાં આવે તેવી રજૂઆત કરી હતી, છતાં આજદિન સુધી આ વ્યવસ્થા સિધ્ધી સરોવર ખાતે ઉપલબ્ધ નહિ બનાવાતાં શહેરીજનોમાં પાલિકાની કામગીરી સામે પણ નારાજગી ઉભી થઈ છે. બગવાડા સુભાષ ચોકનો રહેવાસી સુનિલકુમાર હીરાલાલ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે જે 18/02/2024ના રોજ સાંજે કહ્યા વગર નીકળી ગયો હતો.