![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/રાજ્ય-સરકાર-દ્વારા-ઉદ્યોગપતિઓની-03.jpg)
લોકસભા ચૂંટણી પૂર્વે ખેડૂતોની સમસ્યા સાંભળી તે દૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગપતિઓની માફક ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તે પ્રકારની માગ રાજકોટમાં કલેકટર સમક્ષ કોંગ્રેસના આગેવાનો દ્વારા ખેડૂતને સાથે રાખી કરવામાં આવી હતી. ભારત એ ખેતીપ્રધાન દેશ છે, ત્યારે અહીં લોકોને અનાજ પૂરું પાડતા જગતાતની હાલત ખરાબ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મોંઘા બિયારણ અને દવાઓ તેમજ વીજળીની સમસ્યા દૂર કરવા માટેની માગ કરવામાં આવી હતી. દિવસને બદલે માત્ર રાત્રે જ વીજળી મળતા ખેડૂતોને ન છૂટકે રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં ખેતરોમાં વાવેતર કરવું પડે છે. જેથી જંગલી પ્રાણીઓ સહિતનું જોખમ પણ રહેતું હોય છે. જેથી લોકસભા ચૂંટણી પૂર્વે ખેડૂતોની સમસ્યા સાંભળી તે દૂર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લાના ખેડૂત ભાઈઓની વિનંતી છે: કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ઉપર જે દેવું છે તે માફ કરવા માટે આપને અમે આવેદનપત્ર પાઠવીએ છીએ જે આવેદનપત્ર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી પહોંચાડવા માટે અમારી વિનંતી છે. અમારી રજૂઆત છે કે, જ્યારે મોટા ઉદ્યોગપતિઓ અને આ દેશના અબજો રૂપિયા લઈને નાશી જનાર લૂંટારાઓના કરોડો રૂપિયાની લોન માફ થઈ શકતી હોય તો અમારી જેવા નાના ખેડૂતોનું દેવું માફ કેમ નહીં. આજની આ કાળજાળ મોંઘવારીમાં અમારા ઘરના બે છેડા પણ ભેગા થઈ શકતા નથી.
મોંઘા બિયારણો અને દવાઓ: ત્યારે ખેડૂતોને જીવન નિર્વાહ ચલાવવા લોન લેવી પડે છે. આ ઉપરાંત અન્ય લોકો પાસેથી ઉછીના અથવા વ્યાજે પૈસા લેવા પડે છે. વીજળી પણ પૂરતી મળતી નથી. દિવસની જગ્યાએ રાત્રિની વીજળી મળે છે. આ તમામ મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ જ્યારે પાક તૈયાર થાય ત્યારે બજારમાં પૂરતા ભાવ મળતા નથી. વધુમાં જણાવ્યું કે, અમે આ દેશના અન્નદાતા છીએ. અમારી કાળી મહેનતથી લોકો સુધી અનાજ, કઠોળ, તેલ સહિતની તમામ ચીજ વસ્તુઓ પહોંચતી હોય છે ત્યારે ખેડૂત ભાઈઓએ દેવું ન ભરી શકતા આપઘાત કરવાની નોબત આવે છે અને એટલા માટે વિનંતી છે કે તમામ ખેડૂતોનું દેણું માફ કરો. આપે ચૂંટણી વખતે પણ ખેડૂતોની આવક ડબલ કરવાના વચનો આપ્યા હતા પરંતુ તેમાં કશું થતું નથી.