![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/જેગોલથી-ગોગુંદરા-વચ્ચેની-03-hed.jpg)
દાંતીવાડાના જેગોલથી ગોગુંદરા વચ્ચેની નદી પર પુલ બનાવવાની માંગ અધ્ધર તાલ
દાંતીવાડા તાલુકાના ગાંગુદરા અને જેગોલની વચ્ચે આવેલા હડમતીયા ડેમમાંથી આવતા પાણી જે સીપુ નદીમાં ભળે છે તે જગ્યા ઉપર બ્રીજ બનાવવા ગ્રામજનો અને અગ્રણીઓે છેલ્લા ૧૦ વર્ષથી ઉચ્ચકક્ષાએ વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે તેમછતાં આ બ્રીજની મંજુરી ન મળતા પંથકની પ્રજા અને છાત્રાઓને ચોમાસામાં નદીમાં પાણીના વધતા પ્રવાહ સમયે હાલાકી ભોગવવાનો વારો આવે છે. આમ તાલુકાનું ગાંગુદરા ગામ જેગોલને અડીને આવેલ ગામ છે, આ ગામની ગ્રામ પંચાયત ઓઢવા તેમજ સેવા સહકારી મંડળી ગામથી એક કીમીના અંતરે જેગોલ પાસે આવેલ છે, આ ગામના પ્રજાજનોને કોઈપણ કામ માટે હડમતીયા ડેમમાંથી ઓવરફ્લો થઇને આવતું પાણી ગાંગુદરા ગામ નજીક સીપુ નદીમાં ભળી જાય છે, ત્યારે આ જગ્યાએ દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદના પગલે ૨૦ ફૂટ કરતા વધુ પાણી ભરાઈ જતું હોવાથી ગાંગુદરા સહિત પાંચ ગામના લોકોને તાલુકાની તમામ કચેરીઓના કામકાજ માટે ઝાત થઇ સીપુ નદીના પુલ ઉપર લાંબા કિલોમીટરનું અંતર કાપીને આવવું જવું પડે છે અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ મોટું અંતર કાપી પસાર થવું પડે છે. પરંતુ ચોમાસામાં અને નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ હોય ત્યારે ગાંગુદરાના ગ્રામજનોને એક કીમીના બદલામાં ૨૦ થી ૩૦ કીમીનું અંતર કાપીને દાંતીવાડા કે જેગોલ જવું પડે છે.
આમ ચોમાસામાં ગામના લોકોની કફોડી સ્થિતિ ઉભી થાય છે ત્યારે આવી પરિસ્થિતિને ધ્યાનમા લેવા કાનસિંહજી સોલંકી, સોતવાડાવાળા તથા ગાંગુદરાના ગ્રામજનોએ સીપુ નદીમાં હડમતીયા ડેમના પાણી વચ્ચે બ્રીજ બનાવવામાં આવે તો આજુબાજુના પાંચ ગામોને લાભ થઇ શકે તેવી ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆત કરી છે અને ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓને પણ છેલ્લા કેટલાય વર્ષોથી રજુઆત કરી છે, જે રજુઆત અન્વયે અગાઉ જિલ્લા કક્ષાએથી જેતે વિભાગમાં ગાંધીનગર ખાતે દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. તેમજ અધિકારીઓ સાથે કરવામાં આવેલ ચર્ચા સહીતની ભલામણ પૂર્વ ના.મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલને મોકલી આપવામાં આવી હતી અને સચિવાલયમાંથી પણ પંચાયતના માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેરને બ્રીજ મંજુર કરવા ભલામણ કરાઈ હોવા છતાં સીપુ નદીમાં હડમતીયા ડેમમાંથી આવતા પાણીના ભરાવાની જગ્યાએ બ્રીજનું કોઈ નિરાકરણ ન આવતા પ્રજામાં ભારે રોષ ફેલાયો છે.