![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/પાટણના-હારીજ-મામલતદાર-02-HED.jpg)
પાટણના હારીજમાં મામલતદાર કચેરીના ધાબા ઉપરથી પડતા મામલતદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત
પાટણના હારીજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદારનું આજે મોત થયું છે. નવીન મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર વી. ઓ. પટેલનું મોત થયું છે. મામલતદાર કચેરી બિલ્ડીંગના ધાબા પરથી પડી જતા મોત થયું છે. જોકે, તેઓએ આત્મહત્યા કરી છે કે આકસ્મિક રિતે પડી ગયા છે જે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
હારીજમાં મામલતદાર કચેરીના ધાબા ઉપરથી પડતા મામલતદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થતા ચકચાર મચી છે. રજાના દિવસે મામલતદાર કચેરીમાં આવી ધાબા ઉપર ગયા બાદ પડ્યા કે પડતું મૂક્યું તે બાબતને લઈ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરી રહ્યા છે.
હારીજ મામલતદાર તરીકે ફરજ બજાવતા વીઓ પટેલ રવિવારે સવારના રોજ કચેરીમાં આવી ચોકિયાત પાસે કચેરી ખોલાવીને અંદર ગયા હતા ત્યારબાદ ધાબા ઉપર ગયા હતા અને ધાબા ઉપરથી નીચે પડતા તેમનું મોત થયું હતું. નીચે પડી મોત થયું હોવાનું ચોકિયાતને નજરે ચડતા તાત્કાલિક આસપાસના લોકોને બૂમાબૂમ કરીને બોલાવી જાણ કરી હતી. ગણતરીની મિનિટમાં કચેરીનો સ્ટાફ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે એકત્ર થયો હતો. સમગ્ર ઘટના અંગે ભારે રહસ્ય ઉભું થયું છે મામલતદાર રવિવારના રોજ કચેરીમાં આવી ધાબા ઉપર કેમ ગયા અને કેવી રીતે પડ્યા અથવા તેમને પડતું મૂક્યું છે કે કેમ સમગ્ર ઘટના મામલે અનેક પ્રશ્નો સર્જાયા છે ત્યારે હાલમાં પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર ઘટના અંગે તપાસનો દોર હાથ ધર્યો છે.