![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/havai-humlo.png)
ગાઝા પર ઈઝરાયેલની એરસ્ટ્રાઈક, 13 લોકોના મોત
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલે ફરીવાર મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં 5 બાળકો સહિત ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસની યુદ્ધવિરામની શરતોને નકારી કાઢ્યાના કલાકો બાદ આ હુમલાઓ થયા છે. પટ્ટીની અડધાથી વધુ વસ્તી રાફા ભાગી ગઈ છે. નોંધનીય છેકે, મૃતકના મૃતદેહને કુવૈતની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
ઇઝરાયેલે દક્ષિણી ગાઝા પર હવાઈ હુમલો કર્યો. આ ભીષણ હુમલો વધુ ઘાતકી હતો જેમાં અનેક લોકો ગંભીરપણે ઘાયલ થયા. અને આ હુમલામાં 13 લોકોના મોત થયા છે. હમાસે ઇઝરાયલ સમક્ષ યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. હમાસે પ્રસ્તાવ સાથે શરતી માગણી કરી હતી કે ઇઝરાયેલ સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરે અને બંધક સોદાના ભાગરૂપે યુદ્ધનો અંત લાવે. જો કે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તે શરતો સાથે સંમત થવાનો ઇનકાર કરતા વધુ એક હુમલો કર્યો. યુદ્ધ વિરામને લઈને નેતન્યાહુએ કહ્યું કે જ્યાં સુધી હમાસ પર સંપૂર્ણ કબજો ના કરી એ ત્યાં સુધી આ પ્રકારના હુમલાઓ થતા રહેશે. અમે હવે જીતની નજીક છીએ. આ ભીષણ હુમલાને કારણે ગાઝામાંથી અનેક લોકોએ સ્થળાંતર કર્યું. લોકો હુમલાથી રક્ષણ મેળવવા રાફા પંહોચ્યા કે જે માનવ સહાય મેળવવાનું મુખ્ય સ્થાન છે. ગાઝામાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુદ્ધથી પેલેસ્ટિનિયન મૃત્યુઆંક 27,840 લોકોને વટાવી ગયો છે .