![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/jamanagar.png)
જામનગરમાં રિલાયન્સ મોલમાં લાગી આગ, કોઈ જાનહાની-ઈજા નહી
જામનગર નજીક મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ગઈ રાત્રે 10 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આજે વહેલી સવારે 30થી વધુ ફાયર ફાઈટરની મદદથી કાબૂમાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જામનગરથી ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મોલની નજીક જ જામનગર-ખંભાળિયા હાઈવે હોવાથી ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ ખડેપગે હતી.
ખંભાળિયા-જામનગર રોડ પર આવેલા ખાવડી પાસે રિલાયન્સ મોલમાં મોડી રાત્રે ભયાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. રિફાઇનરી પાસેના મોલમાં આગ લાગતા જામનગરથી ખંભાળિયા તરફ જતો એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જામનગર જિલ્લાના તમામ ફાયર બ્રિગેડના સ્ટાફ, રિલાયન્સ કંપનીના ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.