ખેરાલુમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ દબાણકર્તાના ગેરકાયદેસર બાંધકામો હટાવ્યાં
ખેરાલુ શહેરમાં 3 થી 4 કિલોમીટર લાંબા રોડ પર દબાણ કર્તાઓએ દબાણ કરી દેતા નગરપાલિકા એક્શન મોડમાં આવી હતી. અગાઉ 32 દબાણ કર્તાને માલિકી હકના પાલિકાએ ખુલાસા માગ્યા હતા. જોકે, દબાણ કર્તાઓએ ખુલાસા ન આપતા આખરે આજે ખેરાલુ પાલિકાની ટીમે જે.સી.બી અને બુલડોઝર વડે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કેટલાક વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં સાંજ સુધીમાં તમામ દબાણો હટાવી પંચમુખી મંદિર થી હાટડીયા થઈ ખેરાલુ શીતકેન્દ્ર સુધીનો 4 કિલોમીટર લાંબો માર્ગ ખુલ્લો કરવામાં આવશે.
ખેરાલુમાં નગરપાલિકા દ્વારા 29 જાન્યુઆરીના રોજ પંચમુખી મંદિર થઈ હાટડીયા વિસ્તાર થી શીતકેન્દ્ર સુધી 32 દબાણ કર્તાઓ ને નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 150 તેમજ 155-1 મુજબ દબાણ કારોને નોટિસ આપી હતી જેમાં નગરપાલિકાની જમીન પર દબાણકારોએ દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. ગેરકાયદેસર મકાન તેમજ રસ્તા પર કાચા મકાન બનાવ્યાં હોવાનું સામે આવ્યું હતું. જે મામલે મંજૂરી મેળવ્યાં વિના કરેલા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં પાલિકાએ માલિકી હકના ખુલાસા પણ માગ્યા હતા તેમજ ગેરકાયદેસર બાંધકામ ત્રણ દિવસમાં જાતે હટાવી લેવા નોટિસ પણ ફટકારી હતી. જોકે, પાલિકાએ આપેલા સમયગાળા દરમિયાન દબાણ કર્તાઓએ કોઈ ખુલાસા ન આપતા આખરે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અધિકારીઓની હાજરીમાં દબાણ હટાવવામાં આવ્યાં હતા.ખેરાલુમાં અગાઉ થયેલા પથ્થરમારા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આજે પાલિકાના દબાણ કામગીરી દરમિયાન પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ કર્મીઓ પણ પોતાની સેફટી માટે હેલ્મેટ સાથે બંદોબસ્તમાં ખડેપગે જોવા મળ્યા હતા.