નવી પાર્ટી બનાવો અથવા ભાજપમાં જોડાઓ… NDA નેતાએ શરદ પવારને આપી સલાહ
ચૂંટણી પંચે અજિત પવારના જૂથને વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ગણાવી છે. ચૂંટણી સંસ્થાનો આ નિર્ણય પાર્ટીના સંસ્થાપક શરદ પવાર માટે મોટો ઝટકો છે. એક આદેશમાં, પંચે અજિત પવારની આગેવાની હેઠળના જૂથને NCPનું ચૂંટણી પ્રતીક ઘડિયાળ પણ આપી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે નિર્ણયમાં તમામ પાસાઓની તપાસ અને પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં પક્ષના બંધારણના ઉદ્દેશ્યોનું પરીક્ષણ, પક્ષના બંધારણનું પરીક્ષણ અને બહુમતનું પરીક્ષણ સામેલ છે. અજિત પવાર જૂથને રાજ્યના મોટાભાગના ધારાસભ્યો તેમજ જિલ્લા પ્રમુખોનું સમર્થન છે.
જ્યારે અજિત પવારની તરફેણમાં ચુકાદો જાહેર કરવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પોતાની આગવી શૈલીમાં કહ્યું કે તેઓ ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કરે છે. શરદ પવારને સલાહ આપતાં તેમણે કહ્યું કે હવે પવાર સાહેબ (શરદ પવાર)એ નવો પક્ષ બનાવવો જોઈએ અથવા ફરી એનડીએમાં જોડાવું જોઈએ કારણ કે તેમના માટે આ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું કે લોકશાહીમાં બહુમતી મહત્વની છે, તેથી જ ચૂંટણી પંચે અમને પક્ષનું નામ અને પ્રતીક ફાળવ્યું છે. તેમણે કહ્યું કે 50 ધારાસભ્યો અમારી સાથે છે. આ ઉપરાંત મોટાભાગના જિલ્લા પ્રમુખો અને રાજ્યના પાર્ટી સેલના વડાઓ પણ અમને સમર્થન આપી રહ્યા છે. ચૂંટણી પંચના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાના શરદ પવારની આગેવાની હેઠળના એનસીપીના હરીફ જૂથના દાવા પર અજિતે કહ્યું કે દરેકને આમ કરવાનો અધિકાર છે.
દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે પંચનો નિર્ણય તથ્યો અને બહુમતી પર આધારિત છે. બીજી તરફ, NCP (શરદ પવાર) જૂથના સાંસદ સુપ્રિયા સુલેએ પંચના નિર્ણયને મહારાષ્ટ્ર અને મરાઠી લોકો વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું.
Tags india Rakhewal sharad pawaar