![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/પેંશન-ના-મળતા-આંદોલનનું-02.jpg)
પેંશનમાં થતા અન્યાય બાબતે રેલીને સફળ બનાવવા શામળાજી ખાતે મિટિંગ મળી
કોઈપણ સરકારી કે સહકારી સંગઠન હોય પોતાના વિભાગમાં ફરજ બજાવ્યા બાદ યોગ્ય પેંશન મેળવવા નિયમ મુજબ હકદાર બને છે, પરંતુ યોગ્ય પેંશન ના મળતા આંદોલનનું શસ્ત્ર ઉગામે છે. ત્યારે અખિલ ભારતીય EPS95 પેંશનર્સ સંગઠન દ્વારા દિલ્હી ખાતે યોજાનાર વિશાળ રેલીના આયોજન અને આંદોલનને મજબૂત બનાવવા માટે યાત્રાધામ શામળાજી ખાતે અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લાના પેંશનર્સની મિટિંગ મળી હતી.
EPS95 રિટાયર્ડ પેંશનર્સ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ જિલ્લાના કર્મચારીઓનું કેન્દ્ર સરકાર પેન્શન વધારાની માંગણીઓ બાબતે ચાલી રહેલા આંદોલન NAC અંતર્ગત આગામી દિલ્હી ખાતે જંતરમંતર ઉપર ઉપવાસ આંદોલનની તૈયારી માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએસનના પ્રમુખ ડૉ.આર.એસ.પટેલના જણાવ્યા મુજબ, EPS95 સહકારી જોગના બેન્ક, ડેરી, ST, GEB તેમજ અસંગઠિત ક્ષેત્રના રિટાયર્ડ કર્મચારીઓને હાલના તબક્કે માત્ર 500થી 1000 પેન્શન મળે છે. આનાથી મોંઘવારીમાં આટલી રકમમાંથી દવા, દૂધ કે શાકભાજી માટે પણ પૂરતું થાય તેમ નથી અને જીવન નિર્વાહ કરવું ખુબજ મુશ્કેલ બને છે. તેથી 7500+DA તેમજ પતિ-પત્ની માટે મેડિકલ સુવિધાઓ મળે તેવી માંગણીઓ તેમજ EPFO સાથેની માંગણીઓ સાથે કેન્દ્ર સરકારમાં છેલ્લા 7 વર્ષથી રજૂઆતો ચાલે છે. જેનું કેન્દ્ર સરકાર દ્વારા આશ્વાસન આપ્યું છે, પરંતુ હજુ સુધી તેનું પરિણામ મળ્યું નથી. જેથી આ બાબતે ઉગ્ર આંદોલનની તૈયારીઓ ચાલી રહી છે.