![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/બાયડના-ચોઈલા-ગામમાંથી-ચોરીનો-02.jpg)
પરીવાર લગ્નમાં ગયો તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરીને રોકડ સહિત ૪,૯૫,૦૦૦ લાખની મત્તા ચોરી કરી ફરાર
બાયડના ચોઈલા ગામમાંથી ચોરીનો બનાવ સામે આવ્યો છે જ્યાં પરીવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા ને તસ્કરોએ ખેલ પાડી દીધો હતો. બંધ મકાનનું તાળું તોડી પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે રાત્રિએ આધેડ પત્ની સાથે ઘરે આવતા ચોરીની જાણ થઈ હતી. તપાસમાં 1.20 લાખની રોકડ સહિત સોના-ચાંદીના ઘરેણાં મળીને ૪.૯૫ લાખની મત્તા ચોરી થયાનું સામે આવતા આ અંગે તેમણે પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લાના બાયડના ચોઈલા ગામે રહેતા દશરથભાઈ કોદરભાઈ પટેલનો પુત્ર અને પુત્ર વધુ ગઈ કાલે અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. દશરથભાઈ અને પત્ની પણ કુટુંબીના દિકરાનું લગ્ન હોવાથી ગામમાં હાજરી આપવા માટે ગયા હતા. દરમિયાન રાસ ગરબા પુર્ણ કરી રાત્રે એક ઘરે આવતા ઘરના મુખ્ય દરવાજનું તાળું જોવા મળ્યું નહતું. તેમ જ બારીમાંથી જોતા ઘરની અંદર લાઈટ ચાલુ હતી અને સામાન અસ્ત વ્યસ્ત હાલતમાં પડ્યો હતો. જે બાદ ઘર ખોલી અંદર તપાસ કરતા ઘરના બેડરૂમમાં આવેલ પેટી પલંગમાં મુકેલા દાગીના જણાઈ આવેલ નહિ.
તપાસમાં એક સોનાનો ત્રણ તોલાનો સેટ, એક સોનાનુ મંગળસુત્ર, એક સોનાની લક્કી,એક જોડ સોનાની બુટ્ટીઓ, સોનાની વીંટી નંગ-૦૨, ચાંદીના છડા બે જોડ, તથા ચાંદીની વીંટી નંગ-૦૨ સહિત ફર્નીચરના ડ્રોવરમાં મુકેલ રોકડ રકમ રૂ.૧,૨૦,૦૦૦ની ચોરી થયાનું માલૂમ પડતાં તેઓ ચોંકી ગયા હતા. આમ,તેઓ લગ્નમાં ગયા હતા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરીને રોકડ સહિત ૪,૯૫,૦૦૦ લાખની મત્તા ચોરી કરી લીધી હોવાની ફરિયાદ દશરથભાઈએ અજાણ્યા ઈસમ સામે બાયડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.