સાંતલપુરમાં મંદિરની દાનપેટી તોડી રોકડ લઈ જનાર ગામનો શખ્સ ઝબ્બે
સાંતલપુર ખાતે રામદેવપીરના મંદિરની દાનપેટીનું તાળું તોડી રોકડ લઈ જનાર આરોપીને સાંતલપુર પોલીસે ઝડપી પાડ્યો હતો. તે આરોપી પાસેથી મળેલ ખોટા દાગીના આધારે વધુ ત્રણ મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
સાંતલપુર ખાતે તાજેતરમાં રામદેવપીરના મંદિરમાંથી દાન પેટીનું તાળું તોડી રોકડની ચોરી કરી હોવાની સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી તેની તપાસ કરતા બાતમી આધારે સાંતલપુર બજારમાં શખ્સ રાજેશભાઈ રામજીભાઈ કોલી રહે.સાંતલપુરને થેલી સાથે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતાં રામદેવપીરના મંદિરમાંથી રોકડ રૂ. 5905ની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તેની પાસેથી ખોટા દાગીનાના હાર મળી આવ્યા હતા તે બાબતે કડક પૂછપરછમાં તેણે દલિતવાસમાં આવેલ દશામાના મંદિર, રણમલપુરા ગામે મોમાઈ માતાજીના મંદિર અને સાંતલપુરના રણ વિસ્તારમાં આવેલ મોમાઈ માતાના મંદિરેથી ચોરી કરી લાવ્યો હોવાનું જણાવ્યું હતું.