![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/ચાણસ્મા-ગોગા-મહારાજના-મંદિરનો.jpg)
ચાણસ્મા ગોગા મહારાજના મંદિરનો 24મો પાટોત્સવ ઊજવાયો
ચાણસ્માના ઐતિહાસિક ગોગા મહારાજના નૂતન મંદિરના 24મા પાટોત્સવ પ્રસંગે આશીર્વાદ પાઠવતાં હાજીપુર આનંદ આશ્રમના મહંત આનંદગીરી બાપુએ જણાવ્યું કે, 500 વર્ષ બાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થવાના છે જે આપણા માટે ગૌરવની વાત છે. સનાતન ધર્મ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. આ ભૂમિ સંતો, મહંતો અને પરમાર્થકોની ભૂમિ છે. આ ભૂમિ ટૂકડો ત્યાં હરિ ઢૂકડોની છે. ચાણસ્માની આવી પવિત્ર ભૂમિમાં આજે યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યારે આકાશમાં દેવો પુષ્પવૃષ્ટિ કરી આપણને આશીર્વાદ આપતાં હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. જૂના રબારીવાસમાં ગોગા મહારાજના મંદિરના ત્રિ દિવસીય પાટોત્સવના શુક્રવારે અંતિમ દિવસે ગોગા મહારાજના મંદિરે ધ્વજારોહણ અને નવચંડી યજ્ઞ યોજાયો હતો. આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓએ બોલ મારા ગોગા જય જય ગોગા ના જયનાદ સાથે યજ્ઞ નારાયણના દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.