![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/07-12.jpg)
રાજકોટમાં ફૂડ વિભાગના અખાદ્ય દાબેલા ચણા સહિતની વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં દરોડા
રાજકોટ શહેરમાં વેપારીઓ વધુ રૂપિયા કમાવવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનું અવારનવાર સામે આવતું હોય છે, ત્યારે આજે મહાનગરપાલિકાનાં ફૂડ વિભાગનાં દરોડામાં આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં આજીડેમ ચોકડી નજીક આવેલા એક કારખાનામાં અખાદ્ય દાબેલા ચણા સહિતની વસ્તુઓ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા સાડા પાંચ હજાર ટન એટલે કે, 5,500 કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને વેપારીને હાઈજેનિક કંડીશન રાખવા સહિતની બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીનાં જણાવ્યા અનુસાર સર્વેલન્સ ચેકિંગ દરમિયાન દિનદયાળ ઇન્ડ. એરીયા, શેરી નં. 6, આજીડેમ ચોકડી પાસે આવેલ કલ્પેશભાઇ બડોખરીયા/ જિતેન્દ્રભાઈ ગુપ્તાની ઉત્પાદક પેઢી “કલ્પેશ ટ્રેડર્સ /જે.કે. સેલ્સ”ની સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં પેઢીમાં દાબેલા ચણા, મગ, કઠોળ વગેરે નમકીનનું ઉત્પાદન કરી વેચાણ કરવામાં આવતું હોવાનું માલૂમ પડ્યું હતું. તપાસ કરતાં પેઢીમાં ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા પલાળેલા ચણા ફૂગ વાળા તેમજ અનહાઈજેનિક રીતે જમીન પર રાખેલા જોવા મળ્યા હતા.
આ ઉપરાંત તેમાં શંખજીરુંનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પેઢીના ઉત્પાદકોએ સ્વીકાર્યું હતું. આ શંખજીરું ખોરાકમાં ઉપયોગમાં લેવો હાનિકારક છે. અને તેનાથી આંતરડા તેમજ પેટનાં રોગો અને કેન્સર સહિતના રોગો થવાની શક્યતા રહે છે. જેને લઈને અખાદ્ય પલાળેલ ચણાનો સંગ્રહ કરેલ કુલ–2500 કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે ફરીથી બજારમાં વેચાણ ન થાય તે હેતુથી સ્થળ પર નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવાની કામગીરી પણ કરવામાં આવી છે.વધુમાં તેમણે જણાવ્યું કે, આ પેઢીની તદ્દન નજીકમાં આવેલા અજયભાઇ છેદીલાલ ગુપ્તાની ઉત્પાદક પેઢી “આશા ફૂડસ”ની પણ સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં પણ દાબેલા ચણા, મગ, કઠોળ વગેરે જેવા નમકીનનું ઉત્પાદન કરી વેચાણ થતું હતું. તપાસ કરતાં પેઢીમાં ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતા પલાળેલા ચણા, દાબેલા મગ, પંજાબી સ્ટીક અનહાઈજેનિક રીતે જમીન પર રાખેલ જોવા મળ્યા હતા. તેમજ તેમાં પણ શંખજીરુંનો ઉપયોગ કર્યો હોવાનું માલિકોએ સ્વીકાર્યું હતું. જેને પગલે ત્યાંથી કુલ 3000 કિ.ગ્રા. જથ્થો માનવ આહાર માટે ફરીથી બજારમાં વેચાણ ન થાય તે હેતુથી સ્થળ પર નાશ કરી તેમજ સ્થળ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.