![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/06-12.jpg)
સુરતના ઉધના વિસ્તારમાં યુવક-યુવતીનું શંકાસ્પદ મોત, યુવકે ગળાફાંસો ખાધો
સુરતના ઉધના વિસ્તારમાંથી યુવક અને યુવતીના એક રૂમમાંથી મૃતદેહો મળી આવ્યા છે. 32 વર્ષીય યુવકે-યુવતીની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈ લીધાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 22 વર્ષીય યુવતીને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. એક રૂમમાંથી બંનેની બોડીઓ મળી આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાસ્થળે પોલીસ સહિત લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા છે.
ડીસીપી ઝોન -2 વિસ્તારના ભગીરથસિંહ ગઢવીના જણાવ્યા મુજબ ઓમ શ્રી સાઈ, જલારામનગર પાસે આ ઘટના બની છે. અહીંના બે માળના મકાનમાં યુવક અને યુવતીની લાશ મળી આવી છે. ઘટનાસ્થળે પોલીસની PCR વાન આવીને જોયું અંદરથી ઘર બંધ હતું. બહારથી જોયું તો પહેલા માળે એક પુરુષનો મૃતદેહ લટકાઈ રહ્યો હતો અને એક યુવતીનો મૃતદેહ પણ નીચે પડેલી હાલતમાં મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે, યુવતીનું પહેલા મૃત્યુ નીપજાવવામાં આવ્યું હોય અને ત્યારબાદ યુવકે ગળાફાસો ખાધો હોય. પોલીસે જ આ બંધ મકાનનું લોક તોડીને અંદરથી મૃત્તદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. FSLની ટીમને પણ અહીં તપાસ માટે બોલાવી લેવામાં આવી છે.વધુમાં તેઓએ જણાવ્યું કે, યુવતીના માથાના ભાગે ઘાનો નિશાન જોવા મળ્યો છે. આ પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, યુવતીની બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોય. મૃત્તક યુવકનું નામ વિજય ગોહિલ છે અને મૃત્તક યુવતી અંગેની માહિતી વિશે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત યુવક અને યુવતી વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે.