પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના સંસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુએ ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ ગેંગસ્ટરને 26મીજાન્યુઆરીએ મુખ્યમંત્રી ભગવંત માન પર હુમલો કરવા માટે આવવા કહ્યું છે. એટલું જ નહીં પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાલિસ્તાનીઓ અને ગુંડાઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવામાં આવી રહી હોવાને કારણે પન્નુ અને અન્ય ગુંડાઓ અને ખાલિસ્તાની સમર્થકો પરેશાન થઈ ગયા છે. મુખ્યમંત્રી ભગવંત માનને આપવામાં આવેલી ધમકી તેનું ઉદાહરણ છે. તમને જણાવી દઈએ કે પંજાબ પોલીસે ગેંગસ્ટરો અને ખાલિસ્તાની આતંકવાદીઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને કેટલાક સમયથી ઝડપી કાર્યવાહી જોવા મળી રહી છે.ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુની આ ધમકી 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહ પર ભારત સરકારને ધમકી આપ્યાના એક અઠવાડિયા પછી આવી છે. તેમણે મુસ્લિમ સમુદાયને પણ આ સમારોહનો વિરોધ કરવા વિનંતી કરી હતી.આતંકવાદી પન્નુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘મુસલમાનોના વૈશ્વિક દુશ્મન’ કહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આ મંદિર હજારો મુસ્લિમોના મૃતદેહો પર બાંધવામાં આવ્યું હતું જેમનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું.