![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/30-8.jpg)
રાજકોટની અમૂલ ઇન્ડસ્ટ્રીએ લેબર કોર્ટના ચુકાદા બાદ પણ કર્મચારીઓને નાણા ન ચૂકવતા ફેક્ટરી સીલ
3-3 કર્મચારીઓના જીવ લીધા બાદ આખરે રાજકોટની વિવાદિત અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ કરવા જિલ્લા કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. લેબર કોર્ટના ચુકાદા બાદ પણ કર્મચારીઓને નાણાં ન ચૂકવી કલેકટરની નોટિસની અવગણના કરનાર અમૂલ ઇન્ડસ્ટ્રીઝને આજે મામલદાર દ્વારા પોલીસની હાજરીમાં સીલ કરવામાં આવી છે.રાજકોટમાં આજી GIDCમાં આવેલ વિવાદાસ્પદ ગણાતી અમૂલ ઇન્ડસ્ટ્રીઝ કે, જે પ્લોટ નંબર-32/33માં આવેલી છે. તેણે કામદારોના પગાર તથા 7 ટકા વ્યાજના નાણા નહી ચૂકવતા આખરે કલેકટરની ડાયરેકટ સૂચનાથી પૂર્વ વિસ્તારના મામલતદાર દ્વારા આજે પોલીસને સાથે રાખી અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ કરી મશીનરી પણ સીલ કરી તાળા મારી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સીલ કરેલ ફેક્ટરી કુલ 50 કરોડની મિલ્કત હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજકોટ પૂર્વના મામલતદાર એસ.જે.ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટ આજી GIDC વિસ્તારમાં આવેલ અમૂલ ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે, જેમાં લગભગ 400 જેટલા કામદારો કામ કરતા હતા. તેના પગારના 1 કરોડ 40 લાખ બાકી હોય, જે અંગે મજૂરો દ્વારા લેબર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આખરે કેસ ચાલી જતા લેબર કોર્ટે નાણાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો. આ બાબતે કલેકટર દ્વારા પણ નાણાં ચૂકવી આપવા નોટિસો ફટકારવામાં આવી છે તેમછતાં નોટિસને અવગણી નાણાં ચૂકવવામાં નહિ આવતા કલેકટરના આદેશથી પોલીસને સાથે રાખી ફેક્ટરી સીલ કરવામાં આવેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની અમૂલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 400 કામદારોને છૂટા કરી તેમના પગાર તેમજ પ્રોવિડન્ડ ફંડના રૂપિયા આપવામાં આવતા ન હતા, જેના કારણે કામદારોએ સાથે મળી વિરોધ નોંધાવ્યો હતો અને કાનૂની લડતનો માર્ગ અપનાવ્યો હતો. આ દરમિયાન 3 જેટલા મજૂરોએ આત્મહત્યા કરી પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો અને વધુ કામદારો આ માર્ગે ન જાય અને જીવ ન ગુમાવે તે માટે જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.