કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને માનસિક ત્રાસ આપનાર વોર્ડનની બદલી
ડીસાની કસ્તુરબા ગાંધી વિદ્યાલયની ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીનીઓને વોર્ડન વિવિધ પ્રકારના કામ કરાવી માનસિક ટોર્ચર કરતા વિદ્યાર્થિનીઓ સહિત વાલીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. જેને પગલે શિક્ષણ વિભાગે તપાસ બાદ વોર્ડનની બદલી કરી નવી વોર્ડનને ચાર્જ સોંપવામાં આવ્યો છે.ડીસામાં અઠવાડિયા અગાઉ કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને વોર્ડન જ્યોતિ દરજી માનસિક ત્રાસ આપતી હોવાની ઘટના બની હતી. જે મામલે વિદ્યાર્થીનીઓએ અગાઉ રજૂઆત કર્યા બાદ પણ કોઈ જ કાર્યવાહી ન થતા આખરે વિદ્યાર્થીનીઓ સહિત વાલીઓએ ધરણા કર્યા હતા. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની ટીમ વિદ્યાલય ખાતે પહોંચી વોર્ડન સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી,
ત્યારબાદ ચાર દિવસ સુધી કોઈ જ કાર્યવાહી ન થતા વિફરેલા વાલીઓએ ડીસાનાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. હવે શિક્ષણ વિભાગે કસ્તુરબા ગાંધી વિદ્યાલયનાં વોર્ડનની તાત્કાલિક બદલી કરવામાં આવી છે. વોર્ડન જ્યોતિ દરજીને બદલે નવા વોર્ડન તરીકે ભાવનાબેન ગૌસ્વામીને ચાર્જ આપવામાં આવ્યો છે.જિલ્લા પ્રા. શિક્ષણા અધિકારી ડૉ. વી. એમ. પટેલે વોર્ડનની બદલી કરી નવા વોર્ડન બેન ભાવનાબેન ગૌસ્વામીને ચાર્જ આપ્યો છે. તેમજ જિલ્લા કૉ. ઓર્ડીનેટર કોકિલાબેન અને બી. આર. સી કૉ ઓર્ડીનેટરે પણ વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન દિકરીઓની રહેવા, જમવા અને શિક્ષણકાર્ય રાબેતા મુજબ જણાઈ આવ્યું હતું.