ડીસા બટાટા સંશોધન કેન્દ્ર ખાતે ખાતર અને બિયારણ વિક્રેતાઓને માર્ગદર્શન સેમિનાર યોજાયો
ડીસા બટાટા સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતોને ખેતીના પાકમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે તેમ જ પાક અનુસાર ખાતર અને દવાની માહિતી મળે તે માટે પાટણના ખાતર બિયારણના ડીલરો અને વિક્રેતાઓનો માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. જેમાં બટાટાની ખેતીમાં માવજત અંગેની માહિતી અને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ખેડૂતોનો સીધો સંપર્ક ખાતર અને બિયારણ વેચતા ડીલરો અને વિક્રેતાઓ સાથે હોય છે અને ઘણી વખત ખાતર અને બિયારણના વિક્રેતાઓ યોગ્ય માહિતીના અભાવે ખેડૂતોને જરૂરિયાત મુજબનું ખાતર અને બિયારણ આપી શકતા નથી, જેને સીધી અસર ખેતી પાક પર થાય છે અને ખેડૂતોને મોટુ નુકસાન વેઠવું પડતું હોય છે. ત્યારે ખાતર બિયારણના વિક્રેતાઓને પૂરતું અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ડીસા બટાટા સંશોધન કેન્દ્ર ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં પાટણના ખાતર અને બિયારણના ડીલરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ બટાટા સહિતના પાકમાં ક્યા સમયે કેવી દવાની અને ખાતરની જરૂરિયાત રહે છે, ક્યા રોગમાં કઈ દવા આપી શકાય, કેટલી માત્રામાં આપવી તે અંગે પૂરતી સમજણ આપવામાં આવી હતી. જેથી ખાતર અને બિયારણ વેચતા ડીલરો અને વિક્રિતાઓ પાસે આવતા ખેડૂતોને તેમના પાકની જરૂરિયાત મુજબ યોગ્ય ખાતર અને બિયારણ મળી રહે તે માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.