હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આયોજન
સાબરકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય તથા ધોરણ 12 પછી કારકિર્દીની તકો અંગેની સમજ આપવાના ઉદેશ્યથી સાબરકાંઠા જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જ્ઞાનસભર અને અદ્ભુત સાયન્સ ફેર તેમજ કરિયર કાઉન્સિલિંગ ફેરનું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ હિતેષભાઇ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વ જ્યારે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે સાબરકાંઠાની અંતરિયાળ સ્કૂલોના બાળકો પણ સાયન્સ અને ટેકનોલોજીમાં થતા અવનવા સંશોધનો વિશે જાણે તથા તેઓમાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામની જેમ વૈજ્ઞાનિક બનવાનો વિચાર તેઓમાં સ્ફુરે એવા ઉદેશથી સાબરકાંઠાની ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ તમામ સ્કૂલોના બાળકો માટે આ સાયન્સ ફેર તારીખ 5 અને 6 જાન્યુઆરી 2024 સુધી ખુલ્લો મુકવામાં આવેલો છે.
આ સાયન્સ ફેરમાં આમંત્રિત મહેમાનોનું પુષ્પ ગુચ્છ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તમામ આમંત્રિત મહેમાનોએ પોતાના વિચારો રજૂ કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને મંડળના મહામંત્રી ધવલભાઇ પટેલે મંડળ દ્વારા કરવામાં આવેલ પ્રવૃતિઓની માહિતી પૂરી પાડી હતી. ઉદ્ઘાટન સમારોહ બાદ પૂજ્ય કૌશલમુની તથા મહેમાનો દ્વારા સાયન્સ ફેર ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં 91થી વધુ સ્કૂલોએ લાવેલા 122થી વધુ પ્રોજેક્ટો આશરે 9500થી વધુ બાળકો અને વાલીઓએ નિહાળ્યા હતા.તદઉપરાંત કોર્ડિંગ સિસ્ટમ, ઇનોવેશનને લગતા સેમિનારનો પણ બાળકોએ લાભ લીધો હતો. તમામ સ્કૂલોના બાળકો એક જ સમાન યુનિફોર્મમાં સુસજ્જ થઈ વૈજ્ઞાનિક ઢબે તમામ પ્રયોગોની સમજ આપી હતી. SPARK 2024માં ગુજરાતની ખ્યાતનામ યુનિવર્સિટીઓ, IIT, NIFT, SINU વગેરે બાળકોની ઉચ્ચ કારકિર્દી માટે આવતીકાલે માર્ગદર્શન પણ પુરૂ પાડશે. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કૌશલ મુનિ સ્વામી, નવનીત ગાલાના માલિક અર્ચિતભાઈ ભટ્ટ, રોયલ ઇન્ફોટેકમાંથી ધીરજભાઈ પૂજરા, IIT ગાંધીનગર, NIFT, SSIU, ગણપત જેવી યુનિવર્સિટીઓ, કેમવેયમાંથી રાજવીરસિંહ, સૃષ્ટિ સંસ્થા, અમદાવાદ, એશિયન ઇન્સ્ટિટ્યૂટ,વરટેક્ષ એકેડેમી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.