પ્રાંતિજમાં અક્ષત પત્રિકા તથા રામ મંદિરના ફોટા ઘરે ઘરે પહોંચાડયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારોએ અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અક્ષત પત્રિકા તેમજ રામ મંદિરના ફોટાને ઘરે ઘરે પહોંચાડ્યા હતા.આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને દેશભરમાં ઉજવણીને ધામધૂમથી થાય તે શુભ હેતુથી પ્રાંતિજ તૈયારીઓ શરુ થઇ ગઈ છે. ત્યારે કેટલાક ભક્તો પગપાળા તો કેટલાક સાયકલ લઈને તો કેટલાક ભક્તો અવનવી ચીજવસ્તુઓ બનાવી અને અર્પણ કરવા અયોધ્યા પહોંચી રહ્યા છે. ત્યારે VHP, RSS, બજરંગદળ અને તેની સબંધિત સંસ્થાઓના કાર્યકરો હોદ્દેદારો પોતાના વિસ્તાર મહોલ્લામાં રામ મંદિરને લઈને અક્ષત પત્રિકા તેમજ રામ મંદિરના ફોટા લઈને ઘરે ઘરે પહોંચી રહ્યા છે.
પ્રાંતિજ વાલ્મીકીવાસ અને ટીંબાવાસથી શરૂઆત કરીને ઉદ્ઘાટન પ્રસંગની આમંત્રણ પત્રિકા, અક્ષત તેમજ રામ મંદિરના ફોટાનું વિતરણ ઘરે ઘરે જઇને કર્યું હતું. આગામી તા. 20, 21, 22 જાન્યુઆરીના દિવસો દરમિયાન અયોધ્યાનગરીમાં ભગવાન શ્રીરામ મંદિરનું ભવ્યાતિભવ્ય મંદિરનું ઉદ્ઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. આ પ્રસંગે મહંત સુનિલદાસજી મહારાજ, નટુભાઇ બારોટ, કમલેશ ભાઇ પટેલ સહિત હોદ્દેદારો, કાર્યક્રરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નગરજનોને અક્ષત પત્રિકાઓ આપીને પ્રસંગની ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું.