![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/pti24-09-2020-000091b-1601001010-1.jpg)
આંદોલન : આજે પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યોમાં બંધનું એલાન, પંજાબમાં ટ્રેનો ઠપ
કૃષિ સાથે સંકળાયેલા ત્રણ બિલના વિરોધમાં દેશભરના ખેડૂતોનું આંદોલન શરૂ થઈ ગયું છે. પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં 25મીને શુક્રવારે બંધનું એલાન અપાયું છે. કિસાન મજબૂર સંઘર્ષ સમિતિ- પંજાબના મહાસચિવ સરવન સિંહ પંઢેરની અપીલ પછી અહીં ખેડૂતોએ અનેક સ્થળે રેલવેના પાટા પર જઈને દેખાવો કર્યા હતા. કિસાન સંગઠનોએ 24 અને 25 સપ્ટેમ્બર સુધી રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે.
ખેડૂતોએ દિલ્હી સરહદે અનેક સ્થળે હાઈ-વે પર પણ ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો. પંજાબ અને હરિયાણામાં કિસાન સંગઠનોએ અન્ય રાજ્યોમાં પણ દેખાવો કર્યા હતા.
કોંગ્રેસે પણ ખેડૂત આંદોલનને સમર્થન આપતા કૃષિ બિલોના વિરોધમાં દેશભરમાં દેખાવો શરૂ કર્યા છે. પંજાબમાં યુવા કોંગ્રેસે કિસાન આંદોલનના સમર્થનમાં આઠ વાગ્યે આઠ મિનિટની મશાલ માર્ચ કાઢી હતી. પંજાબમાં પહેલા જ દિવસે રેલવેએ પંજાબની ટ્રેનો બંધ કરી દીધી હતી. માલગાડીઓ પણ રોકી દેવાઈ હતી, જેના કારણે માલ પહોંચવાનું કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું.
ઉત્તર અને ઉત્તર-મધ્ય રેલવેના જનરલ મેનેજર રાજીવ ચૌધરીએ ક્યું કે, રેલ રોકો આંદોલનથી ખાદ્યાન્ન અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પહોંચાડવાનું કામ ઠપ થઈ ગયું છે. આ ઉપરાંત ખાસ ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકોને પણ મુશ્કેલી પડશે.
રાજ્યમાં આ વર્ષે ઓગસ્ટમાં એફસીઆઈએ ખાદ્યાન્નના 990 રેક અને 23 સપ્ટેમ્બર સુધી 816 રેક પુરવઠો પહોંચાડ્યો હતો. એફસીઆઈ પંજાબથી રોજ 35થી વધુ રેક અનાજ લઈ જાય છે. પંજાબમાં કન્ટેઈનરોમાં ખાતર, સિમેન્ટ, ઓટો અને અન્ય ચીજવસ્તુઓના રોજ સરેરાશ દસ રેક લોડ થાય છે. અહીં પ્રતિદિન લગભગ 20 રેક કોલસો, ખાદ્યાન્ન, મશીનરી, પેટ્રોલિયમ ઉત્પાદનો અને આયાતી ખાતર વગેરે આવે છે.